Wednesday, July 01, 2009

‘જોવા જેવી ફિલ્મ’ના ખુશખબરઃ ગર્મ હવા

પંદર-સત્તર વર્ષ પહેલાં, ઉગતી સમજણે દૂરદર્શન પર ‘ગર્મ હવા’ જોયું હતું. સ્તબ્ધ કરી દેનારો અનુભવ હતો એ! કોમવાદ, હિંદુ-મુસ્લિમ પ્રશ્ન અને બીજી ઘણી બાબતો અંગે મગજની હાર્ડ ડિસ્કનું પ્રોગ્રામિંગ માંડ શરૂ થયું હોય ત્યારે આ ફિલ્મ ભારે અસર પાડી શકે, એવું અત્યારે લાગે છે. એ વખતે એટલું સમજાયું હતું કે આ ફિલ્મમાં એક પણ ફ્રેમ નકામી નથી. તેના કેટલાક એન્ગલ- બલરાજ સાહની ચોકમાં ઊભા હોય અને ઘરના બન્ને (કે ત્રણે) માળ દેખાતા હોય અથવા બલરાજ સ્ટેશને મૂકવા ગયા હોય, તે પ્લેટફોર્મ પર ઊભા હોય અને પસાર થતી ટ્રેનનું દૃશ્ય...અને યાદગાર કવ્વાલી ‘મૌલા સલીમ ચિશ્તી’ (કામચલાઉ ધોરણે ખ્વાજા સલીમ ચિશ્તી સાંભળવી હોય તો લિન્કઃ
http://www.youtube.com/watch?v=9ilOntNHFhY )

કૈફી આઝમીએ લખેલી ને એમ.એસ.સથ્યુએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મની સીડી મેળવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. એકાદ ઠેકાણે ટીવી પરથી વીડીયોમાં ને વીડીયો પરથી સીડીમાં ઉતરેલી નકલ મળી. પણ તેનાથી પૂરો સંતોષ થયો ન હતો.

આખરે, ગઇ કાલના ઇન્ડિયન એક્સપ્રેસની અમદાવાદ ન્યૂઝલાઇનમાં એમ.એસ.સથ્યુને ટાંકીને જણાવાયું છે કે ‘ગર્મ હવા’નું રીસ્ટોરેશન થઇ રહ્યું છે અને ટૂંક સમયમાં તે થિયેટરોમાં રિલીઝ થશે. તેની ડીવીડી પણ મળશે જ. થિયેટરમાં જોવાની તક મળે તો ન ચૂકવા જેવી અને થિયેટરમાં જોયા પછી ડીવીડી ખરીદી રાખવા જેવી ફિલ્મ.

Monday, June 29, 2009

‘ગુજ્જુ’ સિરીયલોઃ લાગણી, બુદ્ધિ અને ‘અસ્મિતા’

ઘણા વખતથી મનના ખૂણે ફાંસની જેમ પેઠેલા મુદ્દા વિશે ગયા અઠવાડિયે બે કટારલેખક મિત્રો જયેશ અધ્યારુ અને જય વસાવડાએ અનુક્રમે બુધવારની ભાસ્કરની પૂર્તિમાં અને રવિવારની ગુજરાત સમાચાર પૂર્તિમાં લખ્યું છે. ચર્ચાનો મુદ્દો એ કે કેટલીક સિરીયલ (‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’- ‘મણિબેન ડોટકોમ’ અને ત્યાર પહેલાંની ઘણી) ગુજરાતીઓને બહુ ડફોળ બતાવે છે, સ્ત્રીને ‘બબૂચક’ ગણવાથી માંડીને અનેક પ્રકારના ભયંકર બીબાં/સ્ટીરીયોટાઇપિંગ મગજ ત્રાસી ઉઠે એ હદે ઘૂંટવામાં આવે છે. અને આ કરનારા ઘણાખરા ગુજરાતીઓ હોય છે. તો ગુજરાતી તરીકે આપણું વલણ શું હોવું જોઇએ?

જયેશ અધ્યારુએ આરોપનામું રજૂ કર્યું હતું, જય વસાવડાએ લાગણી દુભાવાની બૂમો પાડનારાને ઝાટકીને તેમની પર આરોપનામું મૂક્યું છે. તેની વિગતમાં ઉતરવાને બદલે, મને જે લાગે છે તે-
  • લાગણી દુભાવાની બૂમો પાડીને પૂતળાં-નનામી બાળવાં કે કોર્ટમાં કેસ માંડવા એ આત્યંતિકતા છે. પ્રસિદ્ધિ કમાઇ લેવાનો ધંધો પણ ખરો. લાગણીદુભાવ કંપનીઓ જેટલી ઝડપથી પ્રકાશમાં આવે છે, એના કરતાં વધુ ઝડપથી અદૃશ્ય થઇ જાય છે. એટલે, કોઇ બાબતથી ‘મારી લાગણી દુભાઇ છે’ એમ કહી દેવું અને તેના ટેકામાં અષ્ટમપષ્ટમ અસ્મિતાનાં કારણો રજૂ કરવાં એ ઠીક લાગતું નથી.
  • ચચરાટ પહોંચાડે અને ખીજ ચડાવે એવી બાબતમાં લાગણી ન દુભાવા દેવી, એનો અર્થ એવો નથી કે બુદ્ધિ પણ ન દુભાવા દેવી. સિરીયલોમાં ગુજરાતી સહીત તમામ પ્રાંતના લોકોનું જે હદે સ્ટીરીયોટાઇપિંગ થાય છે, તેનાથી લાગણી ન દુભાવા દેવી તે એક વાત છે, પણ તેને ‘સેન્સ ઓફ હ્યુમર’ના નામે વધાવી લેવું એ બીજો અંતિમ છે.
  • મહેમૂદની ‘મદ્રાસી’ કોમેડીથી દુભાઇને કોઇ દક્ષિણ ભારતીય કેસ ભલે ન કરે, પણ જો તેની સૌંદર્યબુદ્ધિ અને સાદી બુદ્ધિ ઠેકાણે હોય તો તેને સખત ખીજ તો ચડવી જ જોઇએ. એવું પણ થવું જોઇએ કે મહેમૂદ એક વાર સામે મળી જાય ને તો ફેંટ પકડીને પૂછવું છે... એવું જ ગુજરાતી અને બીજાં સ્ટીરીયોટાઇપિંગનું.
  • ગુજરાતીઓના ભદ્દા ચીતરામણને હળવાશથી લેવું એક વાત છે, તેની ઉપેક્ષા કરવી બીજી વાત છે અને હરખાઇને વધાવવું એ ત્રીજી વાત છે. લાગણીદુભાવ અથવા હરખઘેલાં વધામણાં એ બે જ વિકલ્પો નથી.
  • જે ફુવડ/ક્રુડ છે તે ફુવડ જ રહે છે- ગમે તેટલું સફળ થાય તો પણ. ‘લોકોને ફુવડ જ ગમે છે’ એવી સાધારણ દલીલ સાંભળવા મળશે, પણ શિષ્ટ કોમેડી કેમ નથી ભજવાતી તેનો અફસોસ સાંભળવા મળે છે? એ દિશામાં તત્પરતા કે પ્રયાસ જોવા મળે છે?
  • છેલ્લો મુદ્દો ગુજરાતીને ‘ગુજ્જુ’ કહેવા અંગેનો. મને કોઇ ‘ગુજ્જુ’ કહે તો દુભાઇ ન જવાની સહિષ્ણુતા મારામાં છે. પણ બીજા લોકો આપણને જે ઉપહાસાત્મક ઉપનામથી બોલાવતા હોય, તે આપણે પોતે જ પોતાના માટે વાપરીએ એ સહિષ્ણુતા કે ઉદારતા નથી. એ ફેશનેબલ દેખાવાની- અથવા સીધીસાદી- ઘેલાઇ છે એવું મને વર્ષોથી લાગ્યું છે. કેટલાંક ગુજરાતી સામયિકોમાં તો એ પરંપરા વર્ષોજૂની છે. તેમને એવું પણ લાગતું હોય તો નવાઇ નહીં કે તેમની સફળતા અથવા શૈલીનું અથવા ‘આધુનિકતા’નું રહસ્ય ‘ગુજ્જુ’ જેવા શબ્દોનો વપરાશ છે

Wednesday, June 24, 2009

કમેન્ટ પોસ્ટ કરવાની ટૂંકી- સહેલી રીત (sign in થયા વિના)

  • પોસ્ટની નીચે comment લખ્યું હોય ત્યાં ક્લિક કરો.
  • (પોસ્ટના છેડે) Post a comment ના બોક્સમાં કમેન્ટ લખો.
  • બોક્સની નીચે comment as માંથી Name/URL નો વિકલ્પ પસંદ કરો.
  • Name ના ખાનામાં તમારું નામ લખો. URL ની જરૂર નથી.
  • Post comment ના ચોકઠા પર ક્લિક કરો.
  • એક વારમાં કમેન્ટ પોસ્ટ ન થાય તો ફરી વાર Post comment ના ચોકઠા પર ક્લિક કરો.
  • ત્યાર પછી પણ કમેન્ટ પોસ્ટ ન થાય તો uakothari@gmail.com પર mail કરો.

Tuesday, June 23, 2009

૧ વર્ષ, ૨૫૪ પોસ્ટ

અચાનક બત્તી થઇ કે બ્લોગને એક વર્ષ પૂરું થશે. ૨૩ જૂન, ૨૦૦૮ની એક ઘડીએ યાહોમ કર્યા વિના બ્લોગની શરૂઆત કરી હતી. સીધી વાત છેઃ ઓનલાઇન સમય સિવાય બીજું કંઇ યાહોમ કરવા જેવું હોતું નથી.

શહેરી યુવાનો માટે લખતા લેખકો જેને ‘ક્રશ’ કહે છે, ઉર્દુ શાયરો જેને ‘દિલ આ ગયા’ કહે છે, વિદ્વાનો જેને તીવ્ર પ્રણયાનુભૂતિ કહે છે - અને હું જેને કંઇ જ કહેવાની જરૂર નથી જોતો- એવી લાગણી એક વર્ષના ટૂંકા ગાળામાં બ્લોગ પ્રત્યે થઇ છે. બ્લોગને મારો ‘ઓલ્ટર ઇગો’ ગણવાનું સહેલું છે. કંઇક અંશે સાચું છે, પણ ‘ઓલ્ટર એક્ઝિસ્ટન્સ’ વધારે સાચો શબ્દ લાગે છે. કારણ કે મારા ઇગોનો ફુગાવો થાય એવી બાબતો - મારા વક્તવ્યના અંશ, એવા કાર્યક્રમોની તસવીરો અને એવી બીજી બાબતો- બ્લોગ પર મૂકવાનું લગભગ ટાળ્યું છે. ક્યારેક જરૂરી લાગે તો પણ એ ‘ઇગો’ સુધી ન પહોંચે એ રીતે.

બીજી બાબતઃ બ્લોગનો ઉપયોગ મેં અંગત હિસાબો માટે કે અણગમા ઠાલવા માટે કર્યો નથી. એવાં કેટલાંક નામ ટાંકી શકું, જેમનાં લખાણ સામે મારા અનેક વાંધા હોવા છતાં અને આ બ્લોગ પર હું એમને લબડધક્કે લઊં તો મને કોઇ કહેનાર ન હોવા છતાં, હું એ પ્રવૃત્તિમાં પડ્યો નથી. એ ધોરણ જાળવી રાખ્યાનો મને આનંદ પણ છે.

મનમાં ઘંટડી વાગે છે કે વઘુ લખીશ તો જે અત્યાર સુધી નથી કર્યું, એ કદાચ શરૂ થઇ જશે. એટલે, બસ. આટલું જ. બ્લોગ પરનાં લખાણોની સર્કિટ પૂરી કરીને, વઘુ એક પ્રવૃત્તિમાં સાર્થકતાનો અનુભવ કરાવનાર મારી સાથે સંમત-અસંમત એવા સૌ વાચકો-મિત્રોનો આભાર.

શનિદેવનો કોપ ઉર્ફે ‘ગાઉનસુંદરીનો ઘરસંસાર’

જૂની ફિલ્મોમાં ને નવલકથાઓમાં આવાં બેવડાં શીર્ષક આવતાં હતાં. એ શૈલીને અંજલી તરીકે મૂકાયેલા આ મથાળામાં ‘ગાઉનસુંદરીનો ઘરસંસાર’ બીરેન (કોઠારી)ની જૂની મસ્તી છે.

વર્ષો પહેલાં મહેમદાવાદમાં મહિલાઓ દિવસના કોઇ પણ સમયે નાઇટગાઉન પહેરીને વિચરવા નીકળી પડે ત્યારે - નાઇટગાઉન સાથે સંકળાયેલા શિષ્ટતા અને સભ્યતાના પ્રશ્નોને કારણે- બીરેનને બહુ ચીડ ચડતી. (આ બાબતને ગરીબી સાથે કશો સંબંધ નથી, એ પણ ત્યારે સ્પષ્ટ હતું.) એ ખીજ સભ્યતાપૂર્વક કાઢવા તેણે સરસ્વતીચંદ્રની ગુણસુંદરીની તરાહ પર ‘ગાઉનસુંદરીનો ઘરસંસાર’ જેવો શબ્દપ્રયોગ ચલણી કર્યો હતો.

એ વખતે અમને એમ કે ફક્ત મહેમદાવાદમાં જ આવું હશે. પછી ખબર પડી કે ગાઉનસુંદરીઓની વસ્તી અને તેમનો ઉપાડો વ્યાપક છે. તેનો તાજો- ૨૦૦૯નો- નમૂનો છે મણિનગર (પૂર્વ)માં સ્ટેશનથી જશોદાનગર ચોકડી તરફ જવાના રસ્તે આવેલું આ મંદીર. ધાર્મિક મલ્ટીપ્લેક્સ જેવા અનેક ભગવાનોના ‘સ્ક્રીન’ ધરાવતા આ મંદીરની બહાર સ્પષ્ટ ચેતવણી લખવામાં આવી છે કે માતાજીના મંદીરમાં ગાઉન પહેરીને પ્રવેશ કરવો નહીં. આ મંદીરમાં ગાઉનસુંદરીઓનું એવું તે કેવું આક્રમણ હશે કે શરમ મૂકીને મંદીરવાળાએ આવી નોટીસ મૂકવી પડી!

Saturday, June 20, 2009

અશ્વિની ભટ્ટ સાથે એક સાંજ





photo: 1) AB, Dhaivat, Jayesh 2) Neetibhabhi- AB 3) Lto R Lalit-Ketan-Lalji-Kintu-Himmat-brother 4) Binit (bearded) - Himanshu 5) Tanna (talking) 7) AB-divyesh-ketan 8) Group- Pranav (with 'rajneesh beard')
અશ્વિનીભાઇને મળ્યા ન હોય એવા તેમના વાચકો-ચાહકો વિચારશેઃ’ઓહો...અશ્વિની ભટ્ટ સાથે!’
પણ તેમને મળી ચૂક્યા હોય એવા લોકો કહેશે,’એક જ સાંજ?’
અશ્વિની ભટ્ટ બે છેઃ ના, બે ‘શોલે’ કે બે ‘કિસ્મત’ જેવો મામલો નથી. અશ્વિની ભટ્ટ એ રીતે બે છે કે, એક નવલકથાકાર અને બીજા ખુદ નવલકથા. અશ્વિની ભટ્ટના કિસ્સામાં સામાન્ય રીતે એવું બને છે કે પોતાના પ્રિય નવલકથાકારને મળવા આવેલા લોકોનો, એક વાર મળવાની ઇચ્છા પૂરી થયા પછી મોક્ષ થતો નથી. એ અશ્વિનીભાઇના નવલકથાકાર-સ્વરૂપથી પણ વધારે તેમના નવલકથા-સ્વરૂપના પ્રેમમાં પડી જાય છે અને પછી ‘લખચોરાશી’ના ફેરા શરૂ થાય છે. તેમનો જૂનો અને હવે કાઢી નાખેલો દંતકથાસમ બંગલો ‘65’ ઉર્ફે ’65, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી’ લખચોરાશીમાં ભટકતાં અમારા જેવાં કંઇક માટેનો ‘પીપળો’ હતો. હવે અમેરિકાથી થોડા સમય માટે આવેલા અશ્વિનીભાઇ એક કુટુંબીના ખાલી ફ્લેટમાં નીતિભાભી સાથે રહે છે.
અર્થચુસ્તીમાં થોડી છૂટછાટ સાથે અશ્વિનીભાઇના જે નવલકથા-સ્વરૂપની વાત કરી, એ હકીકતે પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકારની અસંખ્ય નવલકથાઓનો મસાલો ધરાવતી જિંદગીની અને તેમના ‘સદાબહાર’ મિજાજની વાત છે. સદાબહાર- બલ્કે, સદા બહાર- નહીં તો બીજું શું? સાહિત્યની ચર્ચામાં કે લેખનની ટેકનિકમાં કે સાહિત્યના પપૂધધૂઓની અધ્યાપકીય ખંજવાળોમાં કે પુનર્મુલ્યાંકનોનાં પુનર્મુલ્યાંકનોના પુનર્મુલ્યાંકનોમાં સાંભળ્યું કદી કે ગુજરાતની ધરતી પર અશ્વિની ભટ્ટ નામનો એક લેખક વસે છે?

પણ અશ્વિનીભાઇ પાસે બેઠા હોઇએ ત્યારે આવા બધા વિચારો ન આવે. ગયા બુધવારે કેટલાક મિત્રો અશ્વિનીભાઇ-નીતિભાભી સાથે અમારી અનિયતકાલીન બેઠક ‘રૂડું કાઠિયાવાડ’ (વસ્ત્રાપુર તળાવ સામે, અમદાવાદ)માં બેઠા, ત્યારે જમ્યા પછીના પાન-સેશનમાં ‘સાહિત્યવાળાની ઉપેક્ષા’ વિશે સવાલ પૂછાયો ખરો, પણ પૂછનારને અને આજુબાજુ બેઠેલા સૌને ખબર હતી કે આ પૂછવાખાતર પૂછાયેલો સવાલ છે. અશ્વિનીભાઇને સાહિત્યવાળાથી કશો ફરક પડતો નથી. એમને રાજકારણમાં પડવું હોય તો એ સાહિત્ય પરિષદમાં જતા નથી. નર્મદા યોજના અંગેનું પોતાનું અભ્યાસપૂર્ણ વલણ, પોતાની લોકપ્રિયતા જોખમાશે એવી ચિંતા રાખ્યા વિના, અળખામણા થવાની અને માર ખાવાની તૈયારી સાથે પણ, હિંમતભેર તે પ્રગટ કરે છે. એક સાહિત્યકારની છબી સાથે સાચીખોટી રીતે સંકળાઇ ગયેલું પોચટપણું અશ્વિનીભાઇમાં નથી. પ્રેમાભાઇ હોલની મેનેજરી દરમિયાન અમદાવાદના ‘સંવેદનશીલ’ ગણાતા ખાસબજાર વિસ્તારમાં કોઇ ગુંડો છરી લઇને પાછળ દોડ્યો હોય એવા કંઇક વીરરસપ્રચુર કિસ્સા તેમની વાતોમાં નીકળી આવે છે. એવી જ રીતે વિધવિધ પ્રસંગે ‘રાવટી’ થવાના કિસ્સાની પણ તેમની સાથે બેઠેલા લોકો માટે નવાઇ નથી.

બેઠકની શરૂઆત ધીમી છે. ખરો રંગ જમ્યા પછી જામે છે. બિનીત મોદીની ગોઠવણથી, રેસ્ટોરાં બંધ થઇ ગયા પછી પણ તેની અગાસીમાં અમારી બેઠક ચાલુ રહે છે. લગભગ રાતના સાડા અગિયાર સુધી અશ્વિનીભાઇ-નીતિભાભી નિરાંતે બેસે છે. વચ્ચે માણસ આવીને કહી જાય છે કે ‘લિફ્ટ બંધ થઇ જશે.’ બધા કહે છે,’થઇ જવા દો. દાદર ઉતરીને જઇશું.’

લિફ્ટ બંધ. ચાર દાદરા ઉતરવાના. વચ્ચે અંધારું. નીતિભાભી કહે,’આ લોકોને લાઇટ ચાલુ રાખતાં શું જાય છે?’ તરત અશ્વિનીભાઇ કહે છે,’અત્યારે લાઇટ ચાલુ રાખવાનો શો ફાયદો? અનપ્રોડક્ટીવ લાઇટ બાળવાની જરૂર ખરી?’

અશ્વિની ભટ્ટની નવલકથાઓ આકંઠ પીનાર ધૈવત ત્રિવેદી, અમારા જૂના સાથીદાર- ગુજરાતી પત્રકારત્વને જેનો લાભ થોડા સમય માટે જ મળ્યો એ (હવે ‘સાયબરસફર’ ફેઇમ) હિમાંશુ કીકાણી, ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી અને એક સમયે ગુજરાતનાં તમામ અખબારોની પૂર્તિને ટક્કર મારે એવી ‘સપ્તક’ પૂર્તિ કાઢનાર રમેશ તન્ના. ‘અભિયાન’નું સંપાદન કરતા પ્રણવ અધ્યારુ અને મેં વિવિધ સવાલો પૂછ્યા. બિનીત ઉપરાંત જયેશ અધ્યારુ, લલિત ખંભાયતા, દિવ્યેશ વ્યાસ, લાલજી ચાવડા, હિંમત કાતરિયા અને તેમના ભાઇ, કેતન રૂપેરા, કિંતુ ગઢવી પણ સામુહિક સંવાદમાં સામેલ થતા રહ્યા. સલિલભાઇ-પ્રશાંત (દયાળ)- અનિલ(દેવપુરકર) જેવા ગેરહાજર મિત્રને પણ યાદ કર્યા. મનીષ મહેતા કોઇ કારણસર આવી શક્યા ન હતા.
અશ્વિનીભાઇએ ઉલટભેર હીરોઇનનાં નામોથી માંડીને ભૂતકાળમાં એક અખબારમાલિકના પુત્રને હાથોહાથની લડાઇ માટે આપેલા આહ્વાનની અને નવી લખાઇ રહેલી (અને અગાઉની પોસ્ટમાં જેના વિશે વાત થઇ ચૂકી છે એવી) નવલકથા જેવી અનેક વાતો કરી. હીરોઇનનાં નામમાં તેમણે રીધમ અને મનમાં રણકાર જગાડે એવા માપદંડની અને ઉદાહરણ તરીકે એમણે મારી દીકરી આસ્થાના નામની વાત કરી. (મેં તેમાં પૂરક અંગત માહિતી ઉમેરતાં કહ્યું કે મારી દીકરીનું નામ ‘આશકા’ પાડવાનું નક્કી કર્યું હતું, પણ ‘એન મોકે પર’ તેમાં ‘શ’ આખો લખાય છે કે અડધો તે જોવા ‘સાર્થ જોડણીકોશ’ ખોલ્યો અને તેમાં આશકાના પછીના પાને ‘આસ્થા’ નજરે પડ્યું ને ગમી ગયું.)

નવલકથામાં એડિટિંગના અશ્વિનીભાઇ પ્રચંડ આગ્રહી છે. હપ્તાવાર નવલકથા લખાયા પછી તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરતાં પહેલાં તે સંતોષ ન થાય ત્યાં સુધી તેમાં કાપકૂપ-સુધારા કરતા રહે છે અને તેમને જલ્દી સંતોષ થતો નથી. આપણે ત્યાં એડિટર-પ્રથા ન હોવાનું એક કારણ તેમણે મોટું બજાર ન હોવાનું પણ જણાવ્યું. પોતાની નવલકથાઓમાંથી બે-ત્રણ સિવાયની બાકીની કથાઓને તેમણે ‘સ્ટોરીટેલિંગ’ તરીકે ઓળખાવી. સાહિત્યિક માપદંડ પ્રમાણે એવા હવાચુસ્ત વિભાગો પડાય એમ નથી, છતાં તેમને લાગે છે કે ઓથાર, અંગાર, આશકા માંડલ ખરા અર્થમાં નવલકથા છે. કારણ કે તેમાં સ્ટોરીટેલિંગ ઉપરાંત મુખ્ય પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન છે.

રમેશ સિપ્પી સાથે રામગઢની વાત ન નીકળે તો અશ્વિની ભટ્ટ સાથે ભેડાઘાટની વાત ન નીકળે. ફિલ્ડવર્ક અને ભેડાઘાટ વિશેના સવાલના જવાબમાં અશ્વિનીભાઇએ ભેડાઘાટના નાનકડા વિસ્તારમાં, પૈસાની ભીડ છતાં રૂ.75 આપીને આખી રાતની હોડી ભાડે કરીને, જેડો રાઉતનાં બુંદેલી ગીતોના સૂર વચ્ચે ચાંદની ઝીલતા આરસના ખડકોનો અલૌકિક નજારો યાદ કર્યો. હા, એ નાવિકનું નવલકથાનું જ નહીં, સાચું નામ પણ જેડો રાઉત હતું. ધૈવત ત્રિવેદીએ વતન રાજુલાના એક મિત્રને ટાંકીને કહ્યું કે દીવમાં દરિયા વચ્ચે એક ચોક્કસ ખડક પર અશ્વિનીભાઇની એક હીરોઇને સ્નાન કર્યું હતું, એ જગ્યા હવે અશ્વિની ભટ્ટના રેફરન્સ સાથે ‘જોવાલાયક સ્થળો’ની યાદીમાં સ્થાન પામી છે.

હાજર મિત્રો લખવા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમણે નવલકથા લખવાની ટીપ્સ આપતાં કહ્યું કે હું કથાનો એન્ડ પહેલેથી વિચારી લઉં છું. કથાને ક્યાં લઇ જવી છે એ મનમાં રાખવું જરૂરી છે. કોઇ નવલકથા લખવા ઇચ્છે તો પ્લોટની કમી નથી અને ‘હું કેટલી નવલકથાઓ લખવાનો!’ એમ કહીને તેમણે પ્લોટ પૂરા પાડવાની તૈયારી બતાવી. નર્મદા યોજના વિશેના તેમના અભ્યાસ અને અનુભવોને આધારે સૂચિત ‘જળકપટ’ નવલકથા અને ત્રાસવાદનો પ્લોટ ધરાવતી-જેના પાંચ હપ્તા લખાઇ ચૂક્યા છે તે નવલકથા વિશે થોડી વાતો થઇ. ચૂંટણી પહેલાં અધૂરી રહેલી ‘કડદો’ નાની સાઇઝની કસબ-કરામત-કમઠાણ ટાઇપની છે. એનું સાઠ-સિત્તેર ટકા કામ થઇ ગયું છે.

જેમની નવલકથાઓએ અખબાર-સામયિકોને જમીની ગુરૂત્વાકર્ષણમાંથી મુક્તિ અને વેચાણના આંકડા આસમાને ચડી જાય એવો વિમોચન-વેગ/એસ્કેપ વેલોસીટી આપ્યો છે, એવા અશ્વિનીભાઇના પગ સદાય જમીન પર રહ્યા છે. એમની બાયપાસ સર્જરી કરનાર ડૉ.તુષાર શાહથી માંડીને તેમની હોસ્પિટલના સફાઇ કામદાર સુધીના સ્તરના લોકોની પ્રચંડ ચાહના પ્રાપ્ત કર્યા પછી મનમાં હવા નથી ભરાતી?
એનો જવાબ આપતાં અશ્વિનીભાઇએ કહ્યું,’હવા ભરાવી જોઇએ, પણ યોગ્ય જગ્યાએ. શેઠિયાની કેબિનમાં વાત કરતી વખતે એ હવા હોવી જોઇએ.’

હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટના ચાહકોનું કિશોરકુમાર અને મહંમદ રફીના ચાહકો જેવું છે. અશ્વિનીભાઇએ હરકિસનભાઇની ખાનદાનીનો એક પ્રસંગ યાદ કરતાં કહ્યું કે હરકિસનભાઇની દીકરીના લગ્નપ્રસંગે મને ખાસ આમંત્રણ આપ્યું. એટલું જ નહીં, અમદાવાદ એક ભાઇને કહી દીધું કે અશ્વિની ભટ્ટને લઇ આવવાની જવાબદારી તમારી. અશ્વિનીભાઇ પહોંચ્યા એટલે હરકિસનભાઇ તેમને પ્રેમથી મળ્યા, એટલું જ નહીં, મહેમાનોનું સ્વાગત કરવા ઉભેલા કુટુંબીઓ સાથે તેમણે અશ્વિનીભાઇને ઉભા રાખ્યા અને જેટલા મહેમાનો આવે એ બધાની સાથે ઓળખાણ કરાવતા જાય,’આ અશ્વિની ભટ્ટ...’ આ સાંભળીને આપણને થાય,’આ હરકિસન મહેતા...’

‘છેલ્લા ઘણા વખતથી વાચકોને કંઇ નવું અપાયું નથી એનો અફસોસ થાય છે’ એવું અશ્વિનીભાઇ કહે છે. બાકી તેમની પાસેથી અફસોસની વાતો અફસોસના સૂરમાં સાંભળવા ભાગ્યે જ મળે. પોતાના એક-બે પેઢી પછીના માણસો સાથે તેમને વધારે ભળે છે. કારણ કે ‘એ લોકો તબિયતની વાતો કરતા નથી. અમારી ઉઁમરનાને ખાલી ‘કેમ છો?’ પૂછીએ એટલે તબિયતનો અહેવાલ આપવા બેસી જાય.’ આવું તેમણે બાર-તેર વર્ષ પહેલાં એક વાર અને પછી વખતોવખત કહ્યું હતું. એ પોતે ‘હેલ્થ બુલેટિન લીગ’માં નથી. 72 વર્ષની ઉંમરે છાતીમાં પેસમેકર સાથે ફરતા અને અમેરિકામાં એક વાર મૃત્યુ સાથે સાવ નજીકનો પરિચય કેળવી આવેલા અશ્વિનીભાઇ સાથેની લાંબી બેઠકમાં એમની તબિયતનો ‘ત’ પણ આવતો નથી.

સાડા અગિયારની આસપાસ બધાને લાગે છે કે હવે અશ્વિનીભાઇને જવા દેવા જોઇએઃ-) થોડી આજુબાજુના બાંકડા પર સૂતેલા હોટેલના વેઇટરની પણ દયા આવે છે. અમારી બેઠકનો ભાગ બે તો આગળ લાંબો ચાલવાનો, પણ અશ્વિનીભાઇ-નીતિભાભી જતાં પહેલાં આગ્રહપૂર્વક ‘હવે હોટેલમાં નહીં, પણ અમારા ઘરે આવો. બોલો ક્યારે આવો છો? નક્કી કરીને કહો.’ એવું આમંત્રણ- આમંત્રણ નહીં, હુકમ જ વળી- આપતાં ગયાં.

Friday, June 19, 2009

દૂરદર્શન અને ‘દૃષ્ટિકોણ’

છેલ્લા થોડા મહિનાથી ગુજરાતી દૂરદર્શન (ચેનલ ૧૧) ઉર્ફે ગિરનાર ચેનલ પર, શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે એક કાર્યક્રમ આવે છેઃ ‘દૃષ્ટિકોણ’. તેનાં નિર્માત્રી છે રૂપા મહેતા. વર્ષોથી દૂરદર્શન સાથે સંકળાયેલાં રૂપાબહેન- ડૉ.રૂપા મહેતા- એમના સ્પષ્ટ વિચારો માટે જાણીતાં છે.

યોગાનુયોગે દોઢેક વર્ષથી ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે આવતી મારી કોલમનું નામ પણ ‘દૃષ્ટિકોણ’ છે.
વઘુ એક યોગાનુયોગે, રૂપાબહેનના આમંત્રણથી દૂરદર્શન પરના ટોક શો ‘દૃષ્ટિકોણ’નું સંચાલન ઘણી વાર મારે કરવાનું આવે છે.

છેલ્લા બે-ત્રણ મહિનાથી તો લગભગ દર અઠવાડિયે. એમાં સાચર કમિટીના અહેવાલથી માંડીને અંધશ્રદ્ધાના નામે છેતરપીંડી, મહાગુજરાતનાં પચાસ વર્ષ, વિનય-ચારૂલનાં જાગૃતિગીતો, પચાસ વર્ષમાં ગુજરાતનું દલિત સાહિત્ય જેવા અનેક વિષયો આવરી લેવામાં આવે છે. આ કાર્યક્રમમાં ટીવી પરના છપાઇ ગયેલા ચહેરા સિવાયના બીજા, પોતપોતાના વિષયના અધિકારી લોકોને જોવા-સાંભળવા મળે છે, તે ખાસ નોંધવું જોઇએ. કાર્યક્રમમાં મારી ભૂમિકા મારી પદ્ધતિ પ્રમાણેની- છવાઇ ન જવા માગતા સંચાલકની અને અમુક અંશે ચર્ચામાં સહભાગિતાની- છે, એટલે શો કરવાનું ગમે છે.

રસ ધરાવતા મિત્રો મન થાય તો કાર્યક્રમ જોઇ શકે છે, પ્રતિભાવો આપી શકે છે અને શનિવારે સાંજે સાડા સાત વાગ્યે વઘુ સારાં કામ કરવા હોય તો પણ, કોઇ જોરજુલમી નથીઃ-) આ ચેનલ ગુજરાત બહાર, મુંબઇ અને બીજા વિસ્તારોમાં પણ દેખાય છે, એવી રૂપાબહેને ખાતરી આપી છે.

આવતી કાલના કાર્યક્રમમાં શિક્ષણના ખાનગીકરણ અંગે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર અને ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રો.કે.એસ.શાસ્ત્રી સાથેની ચર્ચા છે.

Thursday, June 18, 2009

ધોળાવીરામાંથી મળવાજોગ કેટલીક જાહેરખબરો

સદીઓ જૂની સિંઘુ સંસ્કૃતિના અવશેષ ધરાવતા નગર ધોળાવીરા વિશે એક પુસ્તકના વિમોચનમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું કે પહેલું સાઇનબોર્ડ ધોળાવીરામાંથી મળ્યું છે.

એક-બે સહસ્ત્રાબ્દિ/મિલેનિયમ પહેલાંના ગુજરાતમાં જાહેર ખબરનાં સાઇનબોર્ડનો આવો મહિમા હોય, તો વર્તમાન ગુજરાત સરકારના સાઇનબોર્ડ-પ્રેમને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન ગણવો જોઇએ.

ધોળાવીરામાંથી મળી આવેલું સાઇનબોર્ડ સરકારી હતું કે ખાનગી, એ સમયના રાજાનું હતું કે રાજાના માનીતા ઉદ્યોગપતિઓમાંથી કોઇનું, તેમાં બીજી વિકસિત સંસ્કૃતિના લોકોએ સિંઘુ સંસ્કૃતિના લોકો સાથે કરેલા અમુક લાખ કરોડના એમઓયુ વિશે હરખ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે અનાર્ય પ્રાંતમાં શરૂ થનારું ગાડાં બનાવવાનું કામકાજ ધોળાવીરામાં લઇ આવવા બદલ રાજાએ વેપારી સંસ્થાઓ દ્વારા પોતાનું જાહેર અભિવાદન કરાવ્યું હતું- આ બધા વિશે વધારે સંશોધનને અવકાશ છે.

ધોળાવીરામાંથી પ્રાચીન કાળનાં કેટલાંક વઘુ સાઇનબોર્ડ મળી આવે, તો તેની પર કેવા પ્રકારની જાહેર ખબરો મળવાની સંભાવના રહે છે? કેટલાક નમૂનાઃ

શીખાબંધન કોચિંગ ક્લાસ

ભૂમિતિ નથી આવડતી? અંકશાસ્ત્રથીં અજ્ઞ છો? ખગોળમાં ખોવાયા છો? તો અત્ર લુપ્તાઃ સરસ્વતી! તમારી સરસ્વતીની શોધ અહીં લુપ્ત થાય છે.

(ક્લાસના નામ પ્રમાણે) અમે વિદ્યાર્થીઓ પાસે ચોટલી બાંધીને મહેનત કરાવીએ છીએ. અમારે ત્યાં આવનારા વિદ્યાર્થીઓ વસ્તુની કિંમત કરતાં વધારે નાણાં ખર્ચવાનું, ખર્ચેલાં નાણાંનું વળતર મળ્યું કે નહીં તેની ચિંતા ન કરવાનું, પોતાના જ ખર્ચે જલસા કરીને તેનો જશ બીજાને આપવાનું અને મહેનત કરવાને બદલે નાણાં ખર્ચીના કામ કઢાવી લેવાનું શીખી જાય છે. એટલે, ગમે તેટલા ટકા આવે, પણ અમારા વિદ્યાર્થીઓ જીવનમાં ક્યાંય પાછળ પડતા નથી.

‘અખિલ ધોળાવીરા શિક્ષણ કસોટી’ -એટલે કે ધોળાવીરા બોર્ડ-માં અમારા એક પણ વિદ્યાર્થીઓનો ૧થી ૧૦માં નબર આવતો નથી. એનું અમને ગૌરવ છે. કારણ કે ધોળાવીરાના બજારમાં ધીરધારથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સુધીના ધંધામાં મોટા ભાગના અમારા વિદ્યાર્થી છે. ધોળાવીરા બોર્ડમાં નંબર લાવનારા એમને ત્યાં નોકરી કરે છે.

અમારે ત્યાંથી નીકળેલા વિદ્યાર્થીઓ નોકરી જેવાં નીચાં લક્ષ્ય રાખતા નથી. અમે તેમને સ્વનિર્ભર બનાવીએ છીએ. એ લોકો અમારે ત્યાંથી નીકળીને સ્વનિર્ભર શિક્ષણસંસ્થાઓ શરૂ કરે છે. ધોળાવીરા બોર્ડમાં બે-ત્રણ પ્રયાસે પાસ થયેલા અમારા કેટલાક તેજસ્વી તારલા ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાની વેતરણમાં છે.

અમારા જીવનલક્ષી ભણતરનો લાભ લેવા આજે જ પધારો અને તમારા ગર્ભસ્થ શિશુનું નામ નોંધાવી જાવ. કારણ કે આગામી ૯ વર્ષ સુધીનાં એડમિશન ફુલ છે!

વઘુ અભ્યાસ માટે વિદેશ જવાની તકઃ લક્ષ્મી-સરસ્વતી વિદેશાભ્યાસ કેન્દ્ર

ભણવામાં ઠોઠ સંતાનનાં સમૃદ્ધ માતાપિતાઓ! ઉઠો, જાગો અને તમારૂં સંતાન ડીગ્રી ન મેળવે ત્યાં લગી જંપશો નહીં. આ પુણ્યકાર્યમાં અમે તમને મદદરૂપ થઇશું.

તમારા સંતાનને કંઇ ન આવડતું હોય તો પણ નાસીપાસ થશો નહીં. તમારી પાસે ઘરના વાડામાં નાણાં ભરેલાં માટલાં છે કે નહીં? નાણાંથી ભરેલાં પાંચ માટલાં લઇને અમારી સંસ્થામાં આવો અને યુફ્રેટિસ- તૈગ્રીસ નદીના કિનારે ચાલતી ગમે તે (ગમે તેવી) યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવો. અમારા ક્લાસ દ્વારા પરદેશની યુનિવર્સિટીમાં એડમિશન મેળવનારને પ્રવાસ કરતી વખતે ખભે લટકાવવાની ચામડાની મશક/વોટરબેગ સાવ ફ્રી!

નાણાંનાં પંદર માટલાં લાવનારને યુનિવર્સિટી પહોંચવાના રસ્તામાં લેવી પડતી તમામ પરવાનગીઓ અહીં બેઠાં મેળવી આપવામાં આવશે અને ૩૧ માટલાં ભરીને નાણાં લાવનારને ધોળાવીરામાં બેઠાંબેઠાં તેમના નામની પરદેશી ઉપાધિ/ડીગ્રી ધરાવતું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

ખેતસહાયક યોજના

આપની સેવા માટે -અને પોતાની પ્રસિદ્ધિ માટે- સદૈવ તત્પર સિંઘુ સરકારે બેરોજગાર યુવાનો માટે કૃષિસહાયક યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત ખેતરમાં માણસો દ્વારા થતું કામ મેળવવામાં નિષ્ફળ ગયેલા બેરોજગાર કે જમીનવંચિત યુવાનોને ખેતરમાં ‘ખેતસહાયક’ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

ખેતસહાયક યોજના અંતર્ગત નિયુક્ત થયેલા ઉમેદવારોએ સરકારી માલિકીનાં ખેતરમાં બે ટંક ભોજન અને વર્ષે પાંચ મણ દાણાના વેતનમાં દસ વર્ષ સુધી ખેતસહાયક તરીકે સેવા આપવાની રહેશે.

‘ખેતસહાયક’ને ખરેખર શું કરવાનું રહેશે? એ સામાન્ય રીતે ફરજ પર હાજર થયા પછી જ જણાવાતું હોય છે. પણ ખેતસહાયકો ઝાઝું ટકતા ન હોવાને કારણે કામગીરીનો પ્રકાર પહેલેથી જાહેર કરવાની ફરજ પડી છેઃ પશુધનમાં ફેલાયેલા રોગચાળાને કારણે આખા પ્રદેશમાં ખેતી માટે ઉપયોગમાં આવતા બળદોની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. એ ખોટ સરભર કરવા માટે બેરોજગાર યુવાનોની ભરતી કરવાનો નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. હળ ચલાવવાનું કામ ધારીને આવતા ખેતસહાયકોને જ્યારે બળદની જગ્યાએ હળે જોતરાવાનું આવે ત્યારે તેમનો જુસ્સો મરી પરવારે છે. પરંતુ આપણા પ્રતાપી પૂર્વજોએ કહ્યું છે કે કોઇ પણ પ્રકારના શ્રમથી હારવું કે શરમાવું નહી.

ખેતસહાયક યોજના વિશે વઘુ જાણકારી માટે સંપર્ક સાધોઃ ધોળાવીરા (બે)રોજગાર કચેરી. મઘ્ય ગુજરાતમાં રહેતા ઉમેદવારોએ અમારા લોથલના કાર્યાલયનો સંપર્ક કરવો.

ધોળાવીરા-લોથલ દ્રુતગતિશકટમાર્ગ પરિયોજના

આપણી સંસ્કૃતિનાં બે કેન્દ્રો ધોળાવીરા અને લોથલ વચ્ચે યાતાયાત વ્યવહાર/ટ્રાફિકમાં અનેક ગણી વૃદ્ધિ થઇ છે. વર્ષ દરમિયાન ઉજવાતા ‘સપ્તસિંઘુ સ્વર્ણધારા’, ‘ધબકતું ધોળાવીરા’ જેવા સરકારી ઉત્સવો દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ માર્ગો પર અવરજવર કરે છે. મોટા ભાગનો વ્યવહાર પાલખી અને શકટ (ગાડું) પર નિર્ભર છે. પરંતુ બન્ને નગરો વચ્ચેના રસ્તા અગવડદાયક હોવાથી પાલખી ઊંચકવા માટે ‘પાલખીસહાયક’ પૂરતી માત્રામાં મળતા નથી અને ‘ખેતસહાયકો’ ખેતરમાં ભલે હળે જોતરાતા હોય, પણ ગાડામાં બળદની જગ્યાએ જોડાવા રાજી થતા નથી.

આ સમસ્યાઓનો અંત આણવા સરકારે ધોળાવીરા-લોથલ વચ્ચે એક સાથે ચાર ગાડાં ને ચાર પાલખી પસાર થઇ શકે એવો/ફોર લેન દ્રુતગતિ માર્ગ (એક્સપ્રેસ હાઇવે) બનાવવાની પરિયોજનાનો પ્રારંભ કર્યો છે. રસ ધરાવતી પાર્ટીઓએ આગામી પૂનમ સુધીમાં પોતપોતાનાં ટેન્ડર જમા કરાવી દેવાં.

ભૂતકાળમાં આ પ્રકારના દ્રુતગતિમાર્ગની પરિયોજના હાથ ધરાઇ હતી, પણ રસ્તો સૂચવતાં પાટિયાં સાથે કોનું ચિત્ર મૂકવું- ધોળાવીરાના પ્રશાસકનું કે લોથલના પ્રશાસકનું- એ મુદ્દે વિવાદ સર્જાતાં અશાંતિ ટાળવાના ભયે આખી યોજના મોકૂફ રાખવામાં આવી હતી. હવે એ ગૂંચ ઉકલી ગઇ છે. બન્નેમાંથી જે પ્રશાસકના શ્રેષ્ઠી આખી યોજનાનો ખર્ચ ઉપાડી લે, તે પ્રશાસકનું ચિત્ર દ્રુતગતિ માર્ગ સૂચવતાં પાટિયાં સાથે મૂકવામાં આવશે. શરત એટલી કે શ્રેષ્ઠીઓએ સમજૂતીકરાર/એમઓયુ નહીં, ખરેખર બંધનકર્તા નીવડે એવા કરાર કરવાના રહેશે.

Tuesday, June 16, 2009

સિલિકોન વેલીના ભારતીય ગુરૂઃ રાજીવ મોટવાણી

ઇન્ટરનેટની ક્રાંતિના ડુંગરે ડુંગરે જેમના ‘ડાયરા’ છે, એવા આદર્શ ગુરૂ પરંપરાના અઘ્યાપક, વૈજ્ઞાનિક, સંશોધક અને ‘ગૂગલ’ જેવાં અનેક સાહસોના મિત્ર-મદદગાર માર્ગદર્શક, ગુજરાતના જમાઇ રાજીવ મોટવાણી ૪૭ વર્ષની ઊંમરે અકાળે અવસાન પામ્યા, પણ ટૂંકા આયુષ્યમાં તેમણે કરેલું પ્રદાન અમૂલ્ય છે

‘ગુરૂ બ્રહ્મા, ગુરૂર્વિષ્ણુ...’ની પરંપરાનું ગૌરવ લેતા આપણા શિક્ષકો-અઘ્યાપકોને ભણાવવા કરતાં ચેલા મૂંડવાની બહુ હોંશ હોય છે. વિદ્યાર્થી તેમની પાસે ભણતો હોય ત્યારે તેનામાં રસ લેનારા ગુરૂઓ કરતાં ‘ફલાણો? એ તો મારો વિદ્યાર્થી! ઢીકણો? એ તો આપણો ચેલો!’ એવો ખોટેખોટો જશ ખાટવા ઉત્સુક ‘ગળેપડુ ગુરૂઓ’ મોટી સંખ્યામાં જોવા મળે છે.

વિદ્યાર્થીઓ પાસેથી અહોભાવ ઉઘરાવવો ન પડે અને વિદ્યાર્થીઓ પ્રેમાદરથી નમતા આવે, એવી પાત્રતા ગુરૂએ કેળવવાની હોય. એ બાબતમાં ભારતના જૂની પેઢીના ગુરૂઓની યાદ અપાવે એવું એક વ્યક્તિત્વ એટલે રાજીવ મોટવાણી. તેમની કર્મભૂમિ અમેરિકા, સાસરૂં અમદાવાદ, પણ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ શીખવતા રાજીવ સિલિકોન વેલીમાં માત્ર કમ્પ્યુટરના ખેરખાં તરીકે નહીં, સદા ખુલ્લા દરવાજા ધરાવનાર ગુરૂ-મિત્ર-માર્ગદર્શક-મદદગાર તરીકે વધારે જાણીતા બન્યા.


એટલે જ, ૫ જૂન, ૨૦૦૯ના રોજ ફક્ત ૪૭ વર્ષની ઊંમરે રાજીવ મોટવાણીનું આકસ્મિક અવસાન થયું, ત્યારે આદરાંજલિઓનો ખડકલો થયો. (એ જુદી વાત છે કે ઇન્ટરનેટના યુગમાં રાજીવના મૃત્યુના સમાચાર ભારતમાં પહેલી વાર છેક ૮ જૂનના અખબારમાં પ્રસિદ્ધ થયા.) અનેક નવાં સાહસોને પ્રેરણા, પ્રોત્સાહન અને મદદ આપનાર રાજીવ વિશે ગૂગલના સહસ્થાપક સર્જે બ્રીને સૌથી યાદગાર અંજલિ આપતાં કહ્યું,‘કમ્પ્યુટરમાં તમે જે ટેકનોલોજી વાપરતા હશો તેમાં ક્યાંકને ક્યાંક રાજીવ મોટવાણી સંકળાયેલા હોવાની પૂરી શક્યતા ખરી!’

ભારતીય પરંપરા પ્રમાણે, વ્યક્તિની કદર અને તેની મહાનતા મોટા ભાગના લોકોના મનમાં તેના મૃત્યુ પછી જ ઉગે છે. ‘મૂઇ ભેંસના મોટા ડોળા’ એ કહેવત સામાન્ય માણસ જેટલી જ મહાનુભાવોને પણ લાગુ પડે છે. કદાચ એટલે જ, ગુજરાતમાં-ભારતમાં કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સથી માંડીને ઓબામાની ટીમમાં સમાવાતા ભારતીયોનાં જેટલાં ગૌરવગાન ગવાય છે, તેનાથી સોમા ભાગની વાત પણ રાજીવ મોટવાણી વિશે ન થઇ- જીવતેજીવ પણ નહીં ને મૃત્યુ પછી પણ નહીં!

ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.)ના અડધા સાચા, અડધા આભાસી દબદબા પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.)નો સૂરજ મઘ્યાહ્ને તપતો હતો. અમેરિકામાં રહીને આખા વિશ્વને કમ્પ્યુટર ક્રાંતિ ભણી દોરી જનાર સિલિકોન વેલીના સંશોધનવીરોમાં આઇ.આઇ.ટી.નાં ભેજાંનું પ્રદાન નોંધપાત્ર અને સૌથી જાણીતું રહ્યું. સિલિકોન વેલી માટે ‘ભારત એટલે આઇ.આઇ.ટી.’ એવું સમીકરણ રચાઇ ગયું. રાજીવ મોટવાણી એ સમીકરણને દૃઢ કરનારાં કેટલાંક નામ પૈકી એક હતા.

જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા રાજીવને બાળપણથી ગણિતમાં ઉંડો રસ હતો. તે ગણિતશાસ્ત્રી બનવા માગતા હતા, પણ તેમના ફૌજી પિતા અને પરિવારજનોને ચિંતા હતી કે છોકરો ગણિતશાસ્ત્રી થશે તો તેનું ઘર કેમ કરીને ચાલશે? તેમના આગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી રાજીવે આઇ.આઇ.ટી. (કાનપુર)માં નવા શરૂ થયેલા કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. ગણિત છોડીને કમ્પ્યુટરના ક્ષેત્રમાં જવાનું રાજીવને વસમું લાગ્યું, પણ અભ્યાસ શરૂ થયો ત્યારે કમ્પ્યુટરમાં નકરૂં ગણિત જ ગણિત જોઇને તેમના આનંદનો પાર ન રહ્યો. કમ્પ્યુટર સાયન્સની થીયરીમાં સર્વોચ્ચ ગણાતું ‘ગોડેલ પ્રાઇઝ’ જીતનાર રાજીવ ૧૯૮૮માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી પીએચ.ડી. થયા. તે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા ત્યારથી છેવટ સુધી સ્ટેનફર્ડના સૌથી યુવાન અઘ્યાપકોમાં ગણના પામતા રહ્યા. સ્ટેનફર્ડે તેમને સંશોધન અને બીજી પ્રવૃત્તિઓ માટે મોકળું મેદાન આપ્યું. તેમના બે વિદ્યાર્થીએ સર્જે બ્રીન અને લેરી પેજ ૨૧ વર્ષની ઊંમરે, અભ્યાસની સાથે યુનિવર્સિટીનું સર્ચ એન્જિન પણ ચલાવતા હતા. તે વારેઘડીએ રાજીવ પાસે જઇને વઘુ ને વઘુ મોટી હાર્ડ ડિસ્કની માગણી કરતા.

ખુદ ડેટા માઇનિંગ/ માહિતીના‘ખાણકામ’ના નિષ્ણાત હોવા છતાં અને એ વખતે ઇન્ટરનેટ પર ઢગલાબંધ સર્ચ એન્જિન હોવા છતાં રાજીવ કદી સર્જે અને લેરીને હતોત્સાહ કરતા નહીં. ઉપરથી નાણાંકીય મદદ પણ કરતા હતા. આગળ જતાં આ બન્ને જણે ‘ગૂગલ’ની સ્થાપના કરી અને જોતજોતાંમાં ‘ગૂગલ’ ફક્ત કમ્પ્યુટર જગતની જ નહીં, વિશ્વની ટોચની કંપનીમાં સ્થાન ધરાવતી થઇ. એ વખતે રાજીવ આખા ગામમાં ગાજતા ફરતા ન હતા કે ‘ગૂગલ? એ તો મારા ચેલાઓની કંપની છે!’

‘ગૂગલ’ના તે સત્તાવાર સલાહકાર પણ ન હતા. છતાં, લેરી અને સર્જે વખતોવખત ગુરૂ-કમ-મિત્ર રાજીવને મળતા હતા. સર્જે બ્રીને અંજલિમાં લખ્યું છે કે ‘જીવનના ગમે તેવા ચઢાવઉતારમાં રાજીવના દરવાજા અમારા માટે ખુલ્લા રહેતા.’ ‘ગૂગલ’ અબજો ડોલરની કંપની બનતાં, ગયા વર્ષે હ્યુબર્ટ ચેન્ગ નામના એક કમ્પ્યુટર વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે ‘હું પણ ગૂગલનો સહસ્થાપક છું.’ પોતાના દાવો વિશ્વસનીય લાગે એ માટે ચેન્ગે કહ્યું હતું,‘સ્ટેનફર્ડના પ્રોફેસર રાજીવ મોટવાણીએ મારી ઓળખાણ સર્જે અને લેરી સાથે કરાવી હતી.’ છેવટે, રાજીવે ચોખવટ કરી હતી કે ‘મને યાદ છે ત્યાં સુધી ગૂગલની સ્થાપનામાં પ્રદાનનો ચેન્ગનો દાવો પાયા વગરનો છે. ગૂગલનો ત્રીજો સ્થાપક હોત તો મને ખબર હોત જ.’

અનેક નવા સંશોધકો-વ્યવસાયસાહસિકોને મદદ કરનાર રાજીવ પોતે પ્રાચીન કાળના ગુરૂની જેમ છેવટ લગી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા રહ્યા. સિલિકોન વેલીમાં અબજોપતિ ઘણા છે ને ભેજાબાજોની પણ ખોટ નથી. છતાં રાજીવ મોટવાણીનું સ્થાન એ સૌમાં નોખું હતું. કારણ કે એ સાવ અજાણ્યા નવોદિતોને ખુલ્લાશથી મળતા હતા. તેમની સાથે ચર્ચાવિચારણા કરતા, તેમના સંશોધનોમાં જરૂરી સુધારાવધારા સૂચવતા અને આર્થિક રીતે મદદરૂપ પણ થતા. ભારતમાં આ સંસ્કૃતિ સાવ આથમી ગઇ હોય, ત્યારે ‘મૂડીવાદી’ અમેરિકામાં કોઇ અઘ્યાપક આ જીવનપદ્ધતિ અપનાવે તે સુખદ આશ્ચર્ય નથી? ‘ગૂગલ’ અને ‘પે-પાલ’ જેવી મસમોટી કંપનીઓના સ્થાપકો જેમને ગુરૂપદે ગણતા હતા અને બીજી અસંખ્ય કંપનીઓ શરૂ કરવામાં જેમણે મદદનો હાથ લંબાવ્યો હતો, એવા રાજીવ ધાર્યું હોત તો સુખેથી તુમાખીગ્રસ્ત અબજપતિની જિંદગી જીવી શક્યા હોત. સ્ટેનફર્ડમાં નોકરી કરવાની તેમને કશી જરૂર ન હતી. પણ તેમની અવિરત ભૂખ સંપત્તિ કે સફળતા માટે નહીં, જ્ઞાન માટે-નવા વિચારો વધાવવા માટેની હતી.

પોતાના બંગલાના સ્વિમિંગ પૂલમાં મૃત હાલતમાં મળી આવેલા રાજીવ મોટવાણીનો અંત તેમનાં ગુજરાતી પત્ની આશા જાડેજા, બે પુત્રીઓ નેત્રી-અન્યા સહિત ઘણાબધાને આંચકો આપી ગયો અને મોટા ભાગના ભારતીયોને, આવી હસ્તીને તેના જીવનકાળ દરમિયાન ન જાણવાનો વધારાનો આંચકો!

(photo courtsey : http://reflections-shivanand.blogspot.com/2007/08/rajiv-motwani.html )

times of India : ભૂલ, ચૂક, ગફલત અને ગોટાળો

આજના timesમાં એડિટ પેજ આખેઆખું ગઈ કાલનું છપાઇ ગયું છે. કેટલાક મિત્રોના મેસેજ પછી એ જોયું. દેખીતી રીતે આ બહુ અક્ષમ્ય લોચો લાગે. પણ સંદેશ મોકલતા મિત્રો સહીત સૌ જરા સમભાવથી વિચારશે તો લાગશે કે આ ભૂલ લાગે છે એટલી અક્ષમ્ય નથી.

times નો બચાવ કરવાનો સવાલ નથી, પણ આ પ્રકારના કામો સાથે સંકળાયેલા હોવાને કારણે મને લાગે છે કે આવી ભૂલ એકાદ કમાંડની ગફલતથી થાય છે. ભૂલ મોટી છે પણ આ કિસ્સો `આંખનું કાજળ ગાલે ઘસવાનો નથી.

ભૂલોના ઘણા પ્રકાર હોય છે. વ્યાકરણદોષ માફ રાખીને ભૂલોના કેટલાક પ્રકાર જોઈએ.

ચૂક : અંગ્રેજીમાં જેને slip કહીએ છે તે. penslip પણ હોય અને mindslip પણ હોય. penslip એટલે મનમાં જુદું હોય ને કાગળ પર કંઇક લખાઇ જાય. mindslip એટલે કોઈ હકીકત વિષે મનમાં ખોટો ખ્યાલ રહી ગયો હોય એને કારણે થતી ભૂલ.

ગફલત: ગાફેલ રહેવાથી થાય તે ગફલત. ડાબા હાથે, પૂરતા ધ્યાન વિના, ઢસડી કાઢવાના મુડથી લખતી વખતે થાય તે.ઉપરના બંને પ્રકારમાં ભૂલ કરનાર ની આવડતની નહીં, પણ ધ્યાનની ઉણપ, ઉતાવળ, બેદરકારી જેવા પરિબળો કારણભૂત હોઈ શકે છે.

ભૂલ: ગણિતમાં ગુણાકાર-ભાગાકાર કરતા કે ઈતિહાસની ટુકનોધ લખતા, ઓફીસના હિસાબમાં કે ટેક્સની ગણતરીમાં જે પડે ત ભૂલ. એમાં ચૂકની સાથે આવડત નો અભાવ પણ જવાબદાર હોય.

ગોટાળો- લોચો : મુખ્યત્વે આવડતની અછતને લીધે થતી ભૂલ. થોડા દિવસ પહેલાં `ભાસ્કર' માં પેરુમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલા `ભારતીયો` વિષે ૬ કોલમ ની ફોટોસ્ટોરી છપાઇ હતી, જે ખરેખર `એમેઝોન ઇન્ડિયન` આદિવાસીની વાત હતી. આવા લચ્છામાં કોઈક સ્તરે ચૂક તો કોઈ સ્તરે ગોટાળો કામ કરતો હોય.

ભૂલના વધુ પ્રકારો વિષે આરોપાત્મક નહિ એવી ચર્ચા આવકાર્ય છે.

(pl. bear with mistakes if any as the matter is typed thro' google's transliteration facility)