Sunday, March 17, 2024

ટેલેન્ટ શોના માળખાનું ‘સજ્જડબંબ પાંજરું પહોળું થયું’

આજે મહિલા દિવસ ન હતો. કોઈ સરકારી બેટી/કન્યાલક્ષી ઉજવણું પણ ન હતું. આમ જુઓ તો હતો નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો ટેલેન્ટ શો. પણ તેનું વિચારબીજ, તે બીજને કેન્દ્રમાં રાખીને થયેલું આયોજન અને આજે સવારે થયેલો તેનો અમલ જોયા પછી થયું કે એક કોલેજ-એક વિદ્યાસંસ્થા ધારે તો શું કરી શકે—અને એ વાત આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલી હદે ભૂંસાઈ ગઈ છે.

મહિલા આર્ટ્સ કોલેજ અને ખાસ તો તેની એક વિશિષ્ટ પ્રવૃત્તિ વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સ સાથે સંકળાયેલા હોવાનો નાતો અને કોલેજના આચાર્ય-પરમ મિત્ર હસિત મહેતા સાથે લગભગ ત્રણ દાયકાની ગાઢ દોસ્તી –આ બંને પરિબળો બાજુ પર રાખ્યા પછી પણ કહેવું પડે કે આવો અસાધારણ, સંવેદનસભર છતાં સાત્ત્વિક રંજકતાથી ભરપૂર કાર્યક્રમ કદી જોયો નથી.

હસિત મહેતાને ઓળખતા લોકો જાણે છે કે તેમને અવનવા મૌલિક વિચાર આવે છે અને તેને સાકાર કરવા માટે પોતાનાં અને સાથીદારોનાં રાતદિવસ એક કરી-કરાવીને જ જંપે છે. એવો જ એક વિચાર હતોઃ કોલેજના ટેલેન્ટ શો નિમિત્તે કંઈક જુદું કરવાનો. જુદું એટલે એવું કશું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ અને તેમની સફળતા ઉજાગર થાય. થોડા મહિના પહેલાં આવેલા આ વિચાર પછી ધીમે ધીમે કાર્યક્રમનું સ્વરૂપ ઘડાતું ગયું અને કેટલાક પાયાના નિયમ નક્કી થતા ગયા. જેમ કે,

  • આ કાર્યક્રમનો આશય કોલેજના પ્રચારનો કે કોલેજ કેટલી મહાન છે, તે દર્શાવવાનો નથી. તેનું સઘળું લક્ષ્ય કોલેજમાં ભણતી છોકરીઓની આવડત પર હોવું જોઈએ.
  • ટેલેન્ટ શોમાં સામાન્ય રીતે હોબીમાં સ્થાન પામતી કળા/આવડતો પ્રદર્શિત થતી હોય છે. આપણા ટેલેન્ટ શોમાં તે સિવાય જીવનલક્ષી કસબો-વ્યવસાયોને પણ સ્થાન મળવું જોઈએ.
  • ફક્ત એવી જ વિદ્યાર્થિનીઓને શો માટે પસંદ કરવી, જે તેમના કસબ કે કળામાંથી કમાતી હોય. કેમ કે, મોટા ભાગના કિસ્સામાં એવી કમાણી તેમના ઘર માટે ઉપયોગી અને ટેકારૂપ હોવાની.
  • કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો પણ શોમાં સમાવેશ કરવો.
  • કાર્યક્રમ રૂઢ અર્થમાં ટેલેન્ટ શો નથી. એટલે તેના આમંત્રણમાં ક્યાંય તે શબ્દનો ઉલ્લેખ ન કરવો.

હવે સામાન્ય લાગે એવી આટલી સ્પષ્ટતાઓ સુધી પહોંચવામાં ઘણો સમય નીકળ્યો. પછી શરૂ થઈ વૈવિધ્યપૂર્ણ આવડત ધરાવતી વિદ્યાર્થિનીઓની તલાશ. મહિલા આર્ટ્સ કોલેજમાં નડિયાદ અને તેની આજુબાજુનાં આશરે 200 ગામમાંથી છોકરીઓ ભણવા આવે છે. મોટા ભાગની છોકરીઓ સામાન્ય, સંઘર્ષરત પરિવારોની હોય છે. દલિત-મુસ્લિમ-પછાત છોકરીઓનું પ્રમાણ બહુ મોટું હોય છે. ધીમે ધીમે વિવિધ આવડતવાળી છોકરીઓની યાદી બનાવવાનું કામ શરૂ થયું. અધ્યાપકો પ્રમાણે જવાબદારીઓ વહેંચવામાં આવી. કોઈ પણ છોકરીનું નામ આવે, એટલે તેના કસબની વિડીયો અધ્યાપકો મેળવે અને તે હસિતભાઈને બતાવે. તેના આધારે છોકરીને સામેલ કરવી કે નહીં, તે નક્કી થાય. આ તબક્કો લાંબો ચાલ્યો.

અગાઉ આ પ્રકારના કોઈ કાર્યક્રમનો આધાર ન હોવાથી, દરેકેદરેક બાબત નવેસરથી નક્કી કરવાની હતી. એટલે સવાલ આવ્યો કે ગાય-ભેંસ દોહીને ડેરીમાં દૂધ ભરીને કમાણી કરનાર અને ખેતરમાં પાણી વાળવાનું અને બીજું કામ કરીને રૂપિયા કમાનાર વિદ્યાર્થિનીઓનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય?  તે માટે ઝાઝો વિચાર કરવો ન પડ્યો. તરત નિર્ણય થયોઃ કેમ નહીં? ચોક્કસ. થવો જ જોઈએ. એવી રીતે ગીત, અભિનય અને નૃત્ય જેવી પરંપરાગત શોની આવડતો ઉપરાંત, મેક અપ, રંગોળી, મહેંદી, સીવણ અને રાંધણ જેવી, સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો અને સ્વરક્ષણ, પશુપાલન, ખેતમજૂરી, પતંગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ આઇટેમો પણ કાર્યક્રમનો હિસ્સો બની.

યાદીમાં એક પછી એક ચીજો ઉમેરાતી ગઈ, તેમ આશ્ચર્ય સાથે આનંદ અને ઉત્સાહ વધતાં ગયાં. કોઈ છોકરીને તેની આવડત વિશે શીખવવાનું ન હતું, પણ મંચ પરથી નિશ્ચિત સમયમાં તેની પ્રસ્તુતિ શી રીતે થાય તે માટે ભરપૂર તૈયારી કરાવવામાં આવી. અગાઉ જણાવ્યું તેમ, કાર્યક્રમના કેન્દ્રસ્થાને કોલેજ નહીં, વિદ્યાર્થિનીઓ હતી. એટલે, હસિતભાઈનાં સક્ષમ સહાયક પારુલ પટેલે બીજી અનેક કામગીરી ઉપરાંત ભાગ લેનારી તમામ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરીને તેમના વિશેની વિગત મેળવી, જેને કાર્યક્રમની સ્ક્રીપ્ટમાં વણી શકાય.

કાર્યક્રમનું નામ હસિતભાઈના મનમાં ચોંટી ગયું હતુઃ સો દાડા સાસુના, એક દાડો વહુનો. તેમના મનમાં એવો ખ્યાલ હતો કે કોલેજ, શિક્ષકો અને આખો સમાજ ઘણાખરા કિસ્સામાં જૂના જમાનાની ફિલ્મી સાસુઓ જેવું વર્તન રાખતો હોવા છતાં, છોકરીઓ સંઘર્ષથી અને પોતાની આવડત વડે રસ્તો કાઢે છે. તેમને બિરદાવવા માટેનો આ એક દિવસ છે. આ એક દિવસ અંત નહીં, પણ શરૂઆત છે—એવી ભાવના પણ તેમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે.

તે બાબતને કેન્દ્રમાં રાખીને નિમંત્રણ તૈયાર કરવામાં આવ્યું અને કાર્યક્રમની સ્ક્રીપ્ટ પણ બીરેન કોઠારીએ અને મેં હસિતભાઈને સાથે રાખીને લખી. ત્યારથી લઇને ગઈ કાલે નડીયાદના ઇપ્કોવાલા ટાઉન હોલમાં થયેલા ગ્રાન્ડ રીહર્સલ અને આજે થયેલા કાર્યક્રમનો વિગતવાર અહેવાલ લખવાને બદલે, તેના રેકોર્ડિંગની લિન્ક જ અહીં આપું છું. 

કાર્યક્રમ વિશે એટલું જ કહેવાનું કે આખી ટીમે અત્યાર સુધી કરેલી દૃષ્ટિપૂર્વકની મહેનત ફળી, કાર્યક્રમમાં અનેક વિવિધતા હોવા છતાં અને સ્ટેજ પર અનેક પ્રકારની વસ્તુઓ થોડા થોડા સમય માટે લાવવાની હોવા છતાં, ક્યાંક ગરબડગોટાળા કે વિલંબ ન થયા. કાર્યક્રમ એટલી ચુસ્તીથી પૂરો થયો કે ઘણાને તે ટૂંકો લાગ્યો. વચ્ચે થોડી મિનીટ માટે હોલની લાઇટ ગઈ ત્યારે પણ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને બીજા મહેમાનોથી ભરેલા આખા હોલમાં ક્યાંય અશાંતિ ન સર્જાઈ. અંગ્રેજીમાં જેને 'ટીઅરજર્કર' કહેવામાં આવે છે એવી, લોકોને પકડી પકડીને રડાવે એવી કોઈ વાત કે સૂચન ન હોવા છતાં, છોકરીઓના સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું, તે જોઈને કેટલાયની આંખો ભીની થઈ. પત્રકારત્વમાં જેને 'હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી' કહેવામાં આવે છે એવી કથાઓ મહિલા આર્ટ્સ કોલેજમાં લગભગ દરેક વિદ્યાર્થિની પાસે હોય છે. પરંતુ કોઈ વાત છાપામાં કે સોશિયલ મિડીયા પર ચડે ત્યાર પછી જ તેની મહત્તા સમજવાની આદત પડી ગઈ છે. આ કાર્યક્રમ સંવેદનશીલતા પર ચડેલી આદતની-વ્યવહારની ધૂળને ખંખેરીને, અસલી સંવેદન અનુભવવાનું નિમિત્ત બની રહ્યો. 

વધુ તો આ લિન્ક જોઈને ખાતરી કરજો. સળંગ સમય ન હોય તો ટુકડે ટુકડે કરીને જોશો તો પણ તેનું અનોખાપણું અને તેની સંવેદનપ્રેરક તાકાત તમે અનુભવી શકશો. 

 વિડીયોમાં જોવા નહીં મળે એવી કાર્યક્રમની કેટલીક તસવીરોઃ

કાર્યક્રમ પહેલાં, બંધ પરદાની પાછળ, ભાગ લેનાર વિદ્યાર્થિનીઓ સામે
'પ્રોફેસર'નો ક્લાસઃ છેલ્લી સૂચનાઓ આપતા હસિત મહેતા
કાર્યક્રમ શરૂ થતાં પહેલાં, પરદા પાછળ, ભાગ લનેાર વિદ્યાર્થિનીઓ
અને સ્ટાફની સર્વધર્મપ્રાર્થના

હોલમાં અચાનક લાઇટો ગઈ એટલે મોબાઈલ ઝગમગી ઉઠ્યા,
પણ હોલની શાંતિ જરાય ખોરવાઈ નહીં

છેલ્લે, મંચ પર આખા સ્ટાફ સાથે, કોલેજની એનસીસી કેડેટોની
હાજરીમાં જનગણમન...


સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ અને વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સનો
આખો સ્ટાફ 

Monday, March 04, 2024

ગુસ્સો આવે ત્યારે...

 હાસ્ય માણસ અને બીજાં પ્રાણીઓને જુદાં પાડનારું પરિબળ છે એવું કહેવાય છે. પ્રચલિત અને વૈજ્ઞાનિક રીતે ખોટી માન્યતા પ્રમાણે, બીજાં પ્રાણીઓ હસી શકતાં નથી, જ્યારે મનુષ્યપ્રાણી હસી શકે છે. તેનાથી સાવ જુદા પાટે એમ પણ કહી શકાય કે, ગુસ્સો માણસ અને બીજાં પ્રાણીઓને એકરૂપ કરનારું, એક હરોળમાં બેસાડનારું લક્ષણ છે. કેટલાક તો આગળ વધીને એમ પણ કહે છે કે ગુસ્સો માણસનું પ્રાણીમાં—વધુ ચોક્સાઈથી કહીએ તો, અસામાજિક પ્રાણીમાં--રૂપાંતર કરી નાખે છે. કેટલાક માણસોનો ગુસ્સો જોઈને એવો વિચાર પણ આવે કે તેમના તે સ્વરૂપને પાશવી-પશુ જેવું ગણાવવામાં પશુઓને અન્યાય થવા સંભવ છે.

પ્રાણીઓ વિના કારણે ગુસ્સે થતાં નથી. તે ચા પીતાં ન હોવાથી, તેમને ખરાબ ચાના કારણે ગુસ્સો આવવાનો સવાલ રહેતો નથી. તે ઓફિસમાં કામ કરતાં નથી. એટલે તેમને કર્મચારીઓ પર ગુસ્સો આવવાની સંભાવના પણ નીકળી જાય છે. તે (સરકસ સિવાય) વાહન ચલાવતાં નથી. એટલે તેમને રોડ રેજ પ્રકારનો, વાહનચાલકસહજ ગુસ્સો ચડતો નથી. તેમનામાં લગ્નસંસ્થા નથી, જમણવારો નથી, કપડાં નથી, હાઉસિંગ સોસાયટી અને ફ્લેટની મિટિંગો નથી, રમતગમત નથી, રાજકારણ નથી, ... ટૂંકમાં, ગુસ્સો પ્રેરનારાં પરિબળોમાંથી ઘણાંખરાં પ્રાણીસૃષ્ટિમાં ગેરહાજર હોય છે. છેલ્લા થોડા સમયના ગુજરાતના પ્રવાહો ધ્યાનમાં રાખતાં એ પણ ઉમેરવું જોઈએ કે પ્રાણીઓ ફિલ્મો બનાવતાં નથી. એટલે તેમની ફિલ્મો જોઈને બીજાં પ્રાણીઓને કે ફિલ્મ જોનાર પ્રાણીઓની ટીકાથી ફિલ્મ બનાવનારાં પ્રાણીઓને ગુસ્સો આવે, એવી શક્યતા નથી.

સામાન્ય માણસોને ગુસ્સે થવા માટે કારણ જોઈએ છે, જ્યારે મહાજનો એવી રીતે વિચારતા નથી. તે પહેલાં ગુસ્સે થઈ જાય છે અને પછી તેનું કોઈ ને કોઈ કારણ શોધી કાઢે છે. કોઈ કારણ ન જડે તો, બસ યું હી, પોતાના હોવાની રૂએ અથવા દિવસનો ક્વોટા પૂરો કરવા માટે પણ તે ગુસ્સે થઈ શકે છે. અલબત્ત, એવો ગુસ્સો મુખ્યત્વે સુખીસંપન્ન માણસોને વધારે આવે છે. મોટી માછલી નાની માછલીને ખાય, એવો માત્સ્યન્યાય સૃષ્ટિનો ક્રમ ગણાય છે. તેમાં ઉમેરો કરતાં કહી શકાય કે દરેક સાહેબ તેની નીચેના કર્મચારી પર ગુસ્સો ઠાલવે, એ પણ સૃષ્ટિનો નિયમ છે. જેમની નીચે કોઈ કર્મચારી નથી, એવા કર્મચારીઓ ઓફિસમાંથી પેકેજમાં છેવટે ગુસ્સો મળે છે. ફક્ત અમુક કંપનીના કે તમુક સ્ટોરમાં જ વાપરી શકાય એવા ગીફ્ટ વાઉચરની જેમ, એવો ગુસ્સો ઘરે જ ચાલી શકે એવો હોય છે. એવા લોકોનાં પરિવારજનોને તેનો ભરપૂર લાભ મળે છે.

કોઈની પર અકારણ પ્રેમ ઢોળવાનું કહેવામાં આવે તો તે અજૂગતું લાગી શકે, પણ કોઈની પર અકારણ ગુસ્સે થવાની વાત એટલી વિચિત્ર નથી લાગતી. આ વાતનાં ઉદાહરણ તરીકે ભાડૂતી ટ્રોલથી માંડીને સાહેબલોકો સુધીના અનેક નમૂના સાંભરી આવશે. પીનેવાલોંકો પીનેકા બહાના ચાહિએ—એવી જ રીતે, ગુસ્સે થનારાને ગુસ્સે થવા માટે ઘણી વાર કારણ નહીં, ફક્ત બહાનું જ જોઈતું હોય છે. તે કોઈના બોલવા પર કે મૌન પર, ચાલવા પર કે ઊભા રહેવા બદલ, હસવા બદલ કે ન હસવા બદલ—ઇચ્છે તે બાબત પર ગુસ્સે ભરાઈ શકે છે.

કહેવાય છે કે માણસ ગુસ્સામાં ભાન ભૂલે છે. એમ તો, પ્રેમમાં પણ તે ભાન ક્યાં નથી ભૂલતો? ફક્ત એટલી હકીકતથી ગુસ્સાને પાશવી કે આસુરી ઠેરવવાનું યોગ્ય નથી. વ્યવહારમાં ઘણા લોકો ચહેરા પર એટલાં મહોરાં ચડાવીને રાખતા હોય છે કે તેમનું સાચું સ્વરૂપ તેમની ભાન ભૂલાયેલી અવસ્થામાં જ જોવા મળે છે. તે દારૂના નશામાં ચકચૂર જણની જેમ લથડિયાં નથી ખાતાં એટલું જ.  તેમના વ્યક્તિત્વની, તેમના શિષ્ટાચાર અને સભ્યતાની ખરી કસોટી તે ગુસ્સામાં હોય ત્યારે થાય છે. ગુસ્સે ભરાયા પછી તે ઉશ્કેરાઈને (ઘોડા-ગધેડા જેવાં) કયાં પ્રાણીઓનું આવાહન કરે છે કે સામેવાળાનાં કયાં મહિલા કુટુંબીજનોનું સ્મરણ કરે છે, તેની પરથી તેના ગુસ્સાનું અને વ્યક્તિત્વના એક અંશનું પણ માપ નીકળી જાય છે. ગાળ એ ગુસ્સાની મસિયાઈ બહેન છે, એવું આ ચિંતનલેખ હોત તો જરૂર લખ્યું હોત. ઘણા ચિંતનલેખો હાસ્યલેખ જ હોય છે, પણ આ ખરેખર હાસ્યલેખ છે. એટલે એવી સરખામણી ટાળીને કહેવું જોઈએ કે ગાળ એ ગુસ્સાની આડપેદાશ નહીં, સીધી જ પેદાશ છે.

ગુસ્સો આવે છે એમ કહેવાથી એવો સવાલ પણ થાય કે બજેટના રૂપિયાની જેમ ગુસ્સો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? ગુસ્સો પેદા મગજમાં થાય એ તો જાણે સમજ્યા, પણ ત્યાર પછી તે કોઈની આંખોમાં, કોઈના નાક પર, કોઈની જીભ પર, તો કોઈના આખા ચહેરા પર તે આવે છે. ગુસ્સાના કારણે કોઈની આંખમાંથી અંગારા વરસે છે (જે સગડી સળગાવવા કે શક્કરિયાં શેકવા જેવા કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી), કોઈના નાકનું ટેરવું વગર લિફ્ટે ઉપર ચડી જાય છે, તો કોઈની આખો ચહેરો તેની પર કોઈએ વઘાર કર્યો હોય એવો તમતમી જાય છે. ઘણાના શરીરમાં ગુસ્સાનું સૌથી પહેલું સ્થાપન જ હાથ કે પગમાં થાય છે. અલબત્ત, હાથ-પગમાં સ્થપાતો ગુસ્સો ચેપી નીવડે અને તેનો ચેપ સામેવાળાને લાગે એવી પૂરી સંભાવના રહે છે. એવું થાય ત્યારે માણસને એટલું અર્ધસત્ય ચોક્કસ સમજાય છે કે ગુસ્સો ખરાબ તો છે—ખાસ કરીને સામેના માણસને આવે ત્યારે.

Thursday, February 29, 2024

ડબલ સીઝનનું દુઃખ

 ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે?

ના. આવી રહેલી ચૂંટણીની કે રામના નામે ચાલેલા રાજકારણની ઋતુની અહીં વાત નથી. બીજા પક્ષોમાંથી પક્ષપલટો કરીને, પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે એવા ભાજપમાં જોડાઈ જવાની મોસમ તો હવે કાયમી બની ચૂકી છે. તેની અસરો ગ્લોબલ વોર્મિંગની જેમ જ ગંભીર છે, છતાં ગ્લોબલ વોર્મિંગની જેમ તેની ગંભીરતા કોઈને સ્પર્શતી નથી. બધા તેને નજરઅંદાજ કરીને જાણે કશું બનતું જ નથી, તેમ હંકાર્યે રાખે છે. ચૂંટણી આવે ત્યારે એ પ્રવૃત્તિ વધુ જોર પકડે છે. તેના માટે (અલ નીનો જેવું) અલ નમો પરિબળ કારણભૂત મનાય છે. અલ નીનોની જેમ અલ નમોની અવળી અસરો સુવિદિત છે, પણ તેને લગભગ કુદરતી જેવી ગણીને, તેને રોકવા-અટકાવવા માટે નક્કર વિચાર કે કાર્યવાહી થતાં હોય એવું જણાતું નથી.

ઉન્માદની ઋતુ ચાલે છે, એમ કહેવું સાચું નહીં ગણાય. કારણ કે, ઋતુઓ તો થોડા થોડા સમય પછી બદલાય પણ છે. વિષુવવૃત્તના પ્રદેશોમાં રોજ વરસાદ પડે, એવું ભૂગોળમાં આવતું હતું. આપણો દેશ વિષુવવૃત્ત પર નથી. છતાં, અહીં દરરોજ વોટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર જૂઠાણાંનો અને ટીવી ચેનલો પર દુષ્પ્રચારનો અનરાધાર વરસાદ વરસે છે. તેના લીધે અનેક સામાજિક-માનસિક રોગો ફેલાય છે, પરંતુ કોરોનાની જેમ તેમને કોઈ મહામારી તરીકે જાહેર કરતું નથી.

એ બધું ઘડીભર ભૂલીને ફક્ત કુદરતી ઋતુની વાત કરીએ તો, ગુજરાતમાં ડબલ સીઝન ચાલે છેઃ સવારે શિયાળા જેવી ઠંડી અને બપોરે ઉનાળા જેવો તાપ. આ વાત સાચી, પણ બહુ જાહેર છે. છતાં, અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે, એવું કહેનાર ઘણાખરા લોકોને લાગે છે કે તેમણે કેટલી અદભૂત, અભ્યાસપૂર્ણ, મહત્ત્વની અને મૌલિક વાત કરી દીધી. એટલું જ નહીં, તેમણે આ નિદાન ન કર્યું હોત તો ગુજરાતના લાખો લોકો મોસમના બેવડા સ્વભાવ વિશે અંધારામાં જ રહી જાત. કેટલાકને પોતે લખતાં પહેલાં કેટલી મહેનત કરે છે એની ટચૂકડી જાહેરખબર મોટા પાયે કરવાનો શોખ હોય છે. તેમનો ઇરાદો નેક હોય છેઃ વાચકને લેખ વાંચવાથી નહીં તો કમ સે કમ લેખકની સ્વઘોષણાથી ખબર તો પડે કે લેખક કાયમ વેઠ જ ઉતારે છે એવું નથી. તે ક્યારેક મહેનત પણ કરે છે અને મહેનત કરે ત્યારે જાણ કરવાનું ચૂકતો નથી. આ પ્રકારની માનસિકતા ધરાવનારા કહી શકે છે કે તે દુનિયાભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં આ વિષય પર થયેલાં સંશોધનોની એડિબલ (ખાઈ શકાય એવા કાગળ પર કાઢેલી) પ્રિન્ટના ટુકડા તપેલીમાં મુકીને, તેને ખાંડના પાણીમાં ઓગાળીને પી ગયા હતા. આમ વિષયને શબ્દાર્થમાં પી જવાને કારણે તેમણે તો ક્યારનું કહી દીધું હતું કે દુનિયામાં ડબલ સીઝન ચાલે છે.

ડબલ સીઝનને હજુ કોઈએ સ્યુડો-શિયાળો કે સ્યુડો-ઉનાળો કહી નથી. કારણ કે, તે હજુ રાજકીય મુદ્દો બની નથી અને તેના થકી લોકોને ઉશ્કેરીને પોતાના ભણી વાળી શકાય, એવી જરૂર ઊભી થઈ નથી. ડબલ સીઝન જાહેર ચર્ચાઓ અને પ્રસાર માધ્યમોના પત્રકારો માટે ઘણી ઉપયોગી નીવડે છે. કૂતરું માણસને નહીં, માણસ કુતરાને કરડે તે સમાચાર છે—એવી વ્યાખ્યાની રૂએ, શિયાળામાં ઠંડી પડે કે ઉનાળામાં ગરમી પડે તે નહીં, શિયાળામાં ગરમી (કે ઉનાળામાં ઠંડી) પડે તે સમાચાર છે. એટલે, કોઈ મોટા સમાચાર ન હોય—એટલે કે, ઉપરથી કોઈ ખરેખર મોટા કે નાનામાંથી મોટા કરવાના સમાચાર આવ્યા ન હોય અથવા ખરા અર્થમાં મોટા સમાચાર હોય તેમને મોટા બનાવવાના ન હોય--ત્યારે ડબલ સીઝન અને તેની આડઅસરો તે જગ્યા પૂરે છે. ડબલ સીઝન અને તેમાં ફેલાતી બિમારીના સમાચાર વાંચીને દરેક વાચકને લાગે છે કે ઓહો, મને પણ આવું જ લાગે છે.

જૂના ભારતમાં ડબલ સાથે ટ્રબલ સંકળાયેલી હતી. નવા ભારતમાંડબલ સાથે  ‘એન્જિન સંકળાયેલું છે. એ જુદી વાત છે કે ઘણાને એ બંનેના અર્થ સરખા જ લાગે છે, ડબલ સીઝન ડબલ ટ્રબલ છે કે ડબલ એન્જિન, તેનો આધાર માણસના આરોગ્યની મજબૂતી પર રહે છે, પણ આસપાસ જોતાં અને અહેવાલો પરથી સાબીત થાય છે કે તબીબી વ્યવસાય માટે ડબલ સીઝન ડબલ એન્જિન પુરવાર થાય છે. તેમાં તાવ-શરદી-ખાંસી વગેરે જૂઠાણાં-ધીક્કાર અને ભ્રષ્ટાચારની જેમ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે.

અત્યાર લગી ફક્ત ડબલ સીઝનના મામલે સરકાર બિચારી શું કરે?’—એવી લાગણી વ્યાપેલી હતી. હવે તે લાગણી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી માંડીને ધિક્કાર અને જૂઠાણાંના ફેલાવાની ચર્ચામાં પણ વપરાય છે. પંદર-વીસ વર્ષ પહેલાં પેટ્રોલના ભાવથી માંડીને સરેરાશ મોંઘવારી-ભ્રષ્ટાચારના વિરોધમાં સરકારની (વાજબી) ટીકા કરનારા અને તેની સામે મોરચા કાઢનારા હવે માસુમિયતથી કહી દે છે, પણ એમાં સરકાર શું કરે?’ સરકારની નિષ્ફળતાઓ બદલ તેની આકરી ટીકા કરવાના મુદ્દે દેશમાં ઘણાં વર્ષથી ડબલ સીઝન ચાલે છે. પરંતુ આ તમામની યાદીમાં સૌથી ચિંતાજનક ડબલ સીઝન છે લોકશાહી અને આપખુદશાહીની. તેમાં વિચારધારા અને વિચારવિહીનતા—એમ બે ઘાતક પ્રકારના તાવની બીમારી એટલી પ્રસરે છે કે તે બીમારી ગણાતી બંધ થઈ જાય છે અને તંદુરસ્તીનું, દેશભક્તિનું, ધાર્મિકતાનું પ્રતીક ગણાવા લાગે છે.

Wednesday, February 28, 2024

મહેફિલ-કથા અને અનોખી મહેફિલ હેમંતકુમાર-વી. બલસારાની

 (ફેસબુક પર દિવાળી 2022 વખતે લખેલી પોસ્ટ)

ગીતો માણતો થયો ત્યાં સુધીમાં ગમતા ગાયકો-સંગીતકારોમાંથી મોટા ભાગના સિધાવી ગયા હતા. એ અર્થમાં ક્યારેક લાગે કે હું મોડો પડ્યો. બાકી, તેમને મળી શકાયું હોત. કદાચ કોઈક રીતે, તેમની એકાદ અનૌપચારિક મહેફિલમાં બેસવા મળ્યું હોત અને આજીવન યાદ રહી જાય એવી રસવર્ષામાં તરબોળ થયો હોત.
તે વસવસો જરાતરા હળવો થાય એવી કેટલીક મહેફિલોમાં બેસવા મળ્યું, એને જીવનની ચરમ સફળતાઓમાં ગણું છું. 1992 કે 1993માં ફિલ્મસંગીતના ગુરુ નલિન શાહ સાથે પૂના જવા મળ્યું. ઉંમર માંડ એકવીસ-બાવીસની. શાસ્ત્રીય સંગીતમાં સમજ ત્યારે પણ ન પડે ને હજુ પણ નથી પડતી. છતાં, ફિલ્મસંગીતમાં બીરેન ને હું ઘાયલ. એ અવસ્થા અને માનસિકતામાં, પૂનાની એક સાંજે, સંગીતકાર રામ કદમના ઘરે મહેફિલ જામી.
નલિનભાઈ, તેમના એલઆઇસીના યુવાન મિત્ર રણજિત કુલકર્ણી, બીજા એકાદ ભાઈ હતા અને હું. આટલા જ લોકો. રામ કદમે શાંતારામની મરાઠી ફિલ્મ 'પિંજરા' માં આપેલું સંગીત બહુ જાણીતું બન્યું હતું. પણ તે સાંજની મહેફિલ રામ કદમના સંગીત વિશે નહીં, મુખ્યત્વે 1940ના દાયકાના સંગીત વિશેની હતી. રામ કદમ પેટી (હાર્મોનિયમ) લઈને બેઠા હતા. અમે તેમને વીંટળાઈને બેઠા.
રામ કદમે થોડા વખત માટે 1940ના દાયકાના વિખ્યાત સંગીતકાર-ગાયક રફીક ગઝનવી સાથે કામ કર્યું હતું. રફીક ગઝનવી વિશે મંટોએ લાંબું પ્રકરણ લખ્યું છે. (દસ્તાવેજ ભાગ-5, પાનાં 95-114) પણ ત્યારે એ વાંચ્યું ન હતું. મનમાં રફીક ગઝનવીની ઓળખ જૂની 'લૈલા મજનૂ'ના સંગીતકાર તરીકેની હતી. અમારી વ્યાખ્યા પ્રમાણેની 'જૂની' એટલે 1976ની નહી, 1945ની. મદન મોહનની નહીં, રફીક ગઝનવીની. તેનાં કેટલાંક ગીતની કેસેટ નલિનભાઈ પાસેથી મળી હતી અને તે બહુ ગમ્યાં હતાં. જા રહા હૈ કારવાં યે ઝિંદગી કા કારવાં, તુમ્હારી જાને તમન્ના સલામ કરતી હૈ-- જેવાં ગીત આજે પણ સાંભળીને રોમાંચ થાય છે.
એ ફિલ્મમાં રફીક ગઝનવીએ પોતે એક ગીત ગાયું હતું, 'ઓ જાનેવાલે રાહી, મુઝકો ન ભૂલ જાના'. તેની ધૂન જરા પેચીદી હતી. ગાવામાં શાસ્ત્રીય ઉસ્તાદી માગી લે એવી. રામ કદમે તેમના હાર્મોનિયમ પર એ ગીત છેડ્યું અને સાથે, કેવળ સૂર પુરાવવા પૂરતું, ગાવાનું શરૂ કર્યું. ગાતા જાય, હાથ પેટી પર ફરતો જાય અને વચ્ચે વચ્ચે ગાવાનું રોકીને, એ ગીતમાં રફીક ગઝનવીએ કયા સૂર ક્યાં ને શા માટે લગાડ્યા છે, તેની વાત કરતા જાય. સાંભળીને એવું લાગે, જાણે બસ, દુનિયામાં બધું અટકી જાય ને આ ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે...
ગીતની વાત થાય એટલે શબ્દોની પણ ચર્ચા થાય. ગીતની બીજી લીટી હતી, 'મહમિલ કો જરા રોકો, સુન લો મેરા ફસાના'. તેમાં લોકજીભે 'મહમિલ'ને બદલે 'મહફિલ' ચડેલું. પાછી રોકવાની વાત. એટલે મહેફિલ રોકવાનું બંધ બેસે. તે વખતે નલિનભાઈએ કહ્યું કે મહમિલ એટલે ડોલી. લૈલા ડોલીમાં જઈ રહી છે અને મજનુ તેને થોભવા કહે છે. (આ લખતી વખતે મહમિલનો અર્થ તપાસી જોયો. ઊંટ પર મુકવાની અંબાડી અથવા ડોલી, જેમાં સ્ત્રીઓ બેસે છે.)
બીજી સાંજે રામ કદમને ફરી મળવાનું હતું. મેં નલિનભાઈને લગભગ દુરાગ્રહ કરીને એ બેઠકના રેકોર્ડિંગની વ્યવસ્થા માટે કહ્યું. તેમણે મહાપરાણે એકાદ પ્લેયર-કમ-રેકોર્ડરનો બંદોબસ્ત કર્યો. પણ પહોંચ્યા પછી જામનો દૌર શરૂ થયો. નલિનભાઈએ આગલા દિવસનો તંતુ આગળ વધારવા પ્રયાસ કર્યો, ત્યારે રામ કદમે હાથમાં પકડેલો પ્યાલો બતાવીને કહ્યું, "આને સ્પર્શ્યા પછી હું પેટીને અડતો નથી."
***
'સેહરા', 'ગીત ગાયા પથ્થરોંને' જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપનાર, વિસરાયેલા અને બેહાલીમાં જીવતા સંગીતકાર રામલાલને 2003માં મળવાનું થયું. અઢી-ત્રણ કલાકની મુલાકાતમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉપરાંત ગીતોની અને જુદાં જુદાં ગીતોમાં તેમણે વગાડેલી શરણાઈની વાત થઈ. ત્યારે તેમણે 'સેહરા'નાં ગમતાં ગીતો વિશે, તેમાં વાગેલાં વાદ્યો અને વાદ્યકારો વિશે થોડી વાત કરી હતી અને તે ગીતો પોતે ગાઈ પણ બતાવતા હતા. એક ઓરડીમાં રહેતા એ સંગીતકારની સાથે મહેફિલ તો થઈ ન કહેવાય, પણ જ્યારે ગીતોની વાત ચાલતી અને તે ગાતા હતા, ત્યારે આસપાસની ઘેરી કરુણતા બે ઘડી વિસારે પડી જતી હતી.
થોડાં વર્ષ પછી, રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે, વિખ્યાત ભજનગાયિકા જુથિકા રોયની આત્મકથાનું ગુજરાતી પ્રકાશન અને તેમનું સન્માન અમદાવાદમાં શક્ય બન્યાં. કાર્યક્રમમાં જુથિકા રોય બે-ત્રણ ગીત ગાવાનાં હતાં. તેની તૈયારી વખતે અમે થોડા લોકો સાથે હતા. તેમાં મુંબઈસ્થિત સંગીતકાર-જાણકાર સંગીતપ્રેમી તુષાર ભાટિયા પણ હતા. જુથિકા રોયનો અવાજ સાવ ખળભળી ગયો હતો. છતાં, તે જુથિકા રોય હતાં. તુષાર ભાટિયા સિતાર પર 'મને ચાકર રાખોજી'નો અંતરો વગાડતા હતા ને સૂરમાં ક્યાંક ચૂક થઈ કે તરત જુથિકા રોયે તેમના નિર્મળ સ્મિત અને ભારે બંગાળી છાંટ ધરાવતા ઉચ્ચાર સાથે, એટલો ભાગ ગાઈને સુધાર્યું.
સંગીતકાર અજિત મર્ચંટ સાથે પહેલી જ મુલાકાતથી કૌટુંબિક આત્મીયતા થયા પછી, તેમના ઘરે તે વગાડતા અને ગાતા હોય, કોઈ શબ્દ ભૂલે અને નીલમકાકી સામે જુએ એટલે કાકી તરત પૂર્તિ કરે, એવી અનેક મિની મહેફિલો થઈ.
ફિલ્મસંગીતથી જરા અલગ, પણ મહેફિલરસની રીતે જરાય ઉતરતી નહીં, એવી મહેફિલો રાજસ્થાની લોકગાયક સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો સાથે બેસીને માણવા મળી છે. પહેલી વાર રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા 'શિલ્પગ્રામ'માં, પછી કુલ્લુ (મનાલી)માં નદી કાંઠે આવેલી એક નિશાળમાં તેમને અપાયેલા ઉતારે મોડી રાત સુધી, ત્યાર પછી 1995માં મહેમદાવાદના ઘરે અને વીસેક વર્ષ પછી ફરી મહેમદાવાદના ઘરે. તે મહેફિલોનો અને તેમાં રેલાયેલા ફ્રી સ્ટાઇલ સંગીતનો કેફ દિવસો સુધી મન પર છવાયેલો રહ્યો છે અને હજુ પણ એ યાદ કરવાની જ વાર, એટલો હૈયાવગો છે.
***
ઉપર જણાવેલી અને જેનો ઉલ્લેખ ચૂક્યો હોઈશ એવી એ બધી મહેફિલોને જાનદાર અને આજીવન યાદગાર બનાવે એવાં બે મુખ્ય તત્ત્વોઃ સંગીત અને અનૌપચારિકતા. એટલે જ, યુટ્યુબ પર ધીમે ધીમે સામગ્રી મુકાવા લાગી, ત્યારે આવી ચીજોની સતત શોધ રહેતી હતી. તેમાં એક વાર એક વિડીયો મળી ગઈઃ વાદક-અરેન્જર વી.બલસારા અને હેમંતકુમારની અનૌપચારિક મહેફિલ.
આમ તો એ બાકાયદા કેેમેરાથી રેકોર્ડ થયેલી છે. છતાં, તેમાં બલસારા કે હેમંતકુમાર, કોઈના પક્ષે કેમેરાની હાજરીનો ભાર વરતાતો નથી. આખી વાતચીત બંગાળીમાં છે. પણ વિડીયોને માણવામાં બંગાળી જરાય નડતરરૂપ નથી. હા, કોઈ બંગાળી મિત્ર થોડી મહેનત લઈને આખી વાતચીતનું નહીં તો, કમ સે કમ, તેમાં થયેલા અગત્યના મુદ્દાનું ગુજરાતી/અંગ્રેજી કરી આપે તો મઝા ઓર વધે ખરી.
પરમ મિત્ર વિસ્તસ્પ હોડીવાલાનો ફેસબુક થકી પરિચય થયો તે પહેલાં, અમારા માટે વિસ્તસ્પ એક જઃ વિસ્તસ્પ બલસારા એટલે કે વી. બલસારા. ઉત્તમ વાદક, મુકેશનાં કેટલાંક બિનફિલ્મી ગીતોમાં તેમણે સંગીત આપેલું. પણ તે કેવા કમાલના વાદક છે અને કેટકેટલાં વાદ્યો કેટલી નિપુણતાથી, રમાડતા હોય એમ વગાડી જાણે છે, તે જાણવા માટે આખી વિડીયો અચૂક જોશો.
હેમંતકુમારના પ્રેમીઓ માટે આ મહેફિલમાં કેટલીક ગજબની ચીજો છે. કઈ તેનું મીઠું રહસ્ય ખોલતો નથી. તમે સાંભળીને મઝા કરજો. તમારે સીધા ત્યાં સુધી પહોંચવું હોય તો તેના કાઉન્ટ અહીં લખ્યા છે.
1. 6:52થી
2. 20:25થી
આ બંનેમાં હેમંતકુમાર જે રીતે, બેઠ્ઠાં બેઠ્ઠાં, કશાય આયાસ વિના, લગભગ વાત કરવાની ઢબે, છતાં જે મધુરતાથી ગાય છે, તે જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે અને થાય છે કે ક્યાંથી આવ્યા હશે આ લોકો? અને ક્યાંથી લાવ્યા હશે આવી પ્રતિભા?
***
શક્ય હોય તો સમય કાઢીને આખી વિડીયો જ સાંભળવા જેવી છે. તે સંગીત અને વાદનની સાવ જુદી જ દુનિયામાં લઈ જશે, તેની ખાતરી.

Monday, February 26, 2024

કૃષ્ણ, સુદામા અને તાંદુલ

વડા પ્રધાને ગયા સપ્તાહે તેમના એક ભાષણમાં એ મતલબનું કહ્યું કે કૃષ્ણ-સુદામાના જમાનામાં અત્યારની ટેકનોલોજી હોત તો કોઈએ કૃષ્ણને તાંદુલ આપતા સુદામાની વિડીયો લઈને સોશિયલ મિડીયા પર ચડાવી દીધી હોત અને કૃષ્ણ પર લાંચ લેવાના આરોપ મુકાયા હોત. 

સામાન્ય રીતે રામનો ઉપયોગ કરવા માટે જાણીતા વડાપ્રધાનને ચેન્જ ખાતર કૃષ્ણ સાંભર્યા, તેની પાછળ સર્વોચ્ચ પ્રેરણા કામ કરતી હશે, એવું ધારી શકાય. અલબત્ત, સર્વોચ્ચ પ્રેરણા દર વખતે આધ્યાત્મિક હોય તે જરૂરી નથી. તે દુન્યવી અને કાયદાકીય—એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી પેદા થયેલી પણ હોઈ શકે. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનની આગેવાની હેઠળનો શાસક પક્ષ વર્ષોથી જેના મુખ્ય લાભાર્થી રહ્યો છે તેવા ઇલેક્ટોરલ બોન્ડ (દાતાના નામ વિના નાણાંભંડોળ ઉઘરાવવાના બોન્ડ) ગેરબંધારણીય જાહેર કર્યા. 

ઘણા સમયથી દેશમાં બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની દશા જોતાં, આ સમાચારથી ઘણાને નવાઈ કે આંચકો ન લાગ્યાં. આમ પણ, વોટ્સએપ પર મળતા રેડીમેડ અને ટેલર-મેડ નીરણના બંધાણને કારણે જાતે વિચારવાની આદત રહી ન હોય. એટલે, બીજા અનેક સમાચારોની જેમ તે સમાચાર પણ આવ્યા ને જતા રહ્યા. 

એક સમય હતો, જ્યારે ભારતમાં કોઈ ચીજ ગેરબંધારણીય જાહેર થાય તો જાહેર જીવન ખળભળી ઉઠતું, પ્રસાર માધ્યમોમાં વાજબી કાગારોળ મચતી અને લોકો પણ આંદોલિત થઈ ઉઠતા. તે સમય સો કે હજાર નહીં, દસ વર્ષ પહેલાં જ હતો, એવું પણ ઘણાને યાદ આવતું નથી. ઠંડા કલેજે નિયમિતપણે બોલાતાં જૂઠાણાં અને ગરમ કોઠે નિયમિતપણે ચાલતી ધિક્કારસભર આપખુદશાહી—આ બંનેના મિશ્રણની લોકોની યાદશક્તિ પર વધારે ખરાબ અસર થઈ છે કે લોકોની સમજ પર, એ નક્કી કરવું કપરું બને એમ છે. છતાં, કેટલાક લોકો એવા હતા, જેમને લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના ઇલેક્ટોરલ બોન્ડ વિશેના ચુકાદા અને વડા પ્રધાનને યાદ આવેલા સુદામાના તાંદુલ વચ્ચે સીધો સંબંધ હશે. 

વડા પ્રધાને પોતાની ઓળખ ભલે ફકીર તરીકે આપતા હોય અને કહેતા હોય કે મૈં તો ઝોલા ઉઠાકર ચલા જાઉંગા. પણ અત્યાર લગીની તેમની ભપકાબાજીને ધ્યાનમાં રાખતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પોતાની જાતને સુદામા તરીકે ન જોતા હોય, એ તો સ્પષ્ટ છે. પોતાના માથાડૂબ પ્રેમમાં પડેલો માણસ પોતાની જાતને ભગવાન-સમકક્ષ માનતો હોય અને આજુબાજુનું મંડળ પોતાના સ્વાર્થની પૂર્તિ ખાતર તેનો એવો ભ્રમ પોષતું હોય, તો એ પણ સ્વાભાવિક ગણાય. 

વડા પ્રધાનનો કિસ્સો વિલક્ષણ એવી રીતે પણ છે કે તે પોતે અથવા બીજું કોઈ તેમને રામ કે કૃષ્ણ સમકક્ષ ગણાવે તો કશું ન થાય. પોતાની ધાર્મિક લાગણી દુભવવા માટે સદા ઉત્સુક અને તેમાંથી જ પોતાની ગુંડાગીરી-કમ-નેતાગીરીની કારકિર્દી બનાવવા ઝંખતા લોકોને પણ તેનાથી વાંધો ન પડે. ‘ન્યૂ ઇન્ડિયા’માં એવો આખો એક સમુદાય પેદા થઈ ચૂક્યો છે, જે વડા પ્રધાનને ભગવાન સાથે સરખાવા માટે આતુર ન હોય તો પણ, તે બાબતે વડા પ્રધાનનું ઉપરાણું લઈને લડવા ઉતરી શકે. આ નકરી કલ્પના નથી. અયોધ્યાના કાર્યક્રમ પહેલાં બાળસ્વરૂપ શ્રી રામ વડા પ્રધાનની આંગળી પકડીને અયોધ્યાના નવા બનેલા મંદિરે જતા હોય, એવાં પોસ્ટર સોશિયલ મિડીયા પર બહુ ફરતાં હતાં. ‘જય શ્રી રામ’ના નારા લગાડતા અને રાજકારણનો હાથો બનવા તલપાપડ કોઈને તે પોસ્ટર સામે વાંધો પડ્યો હોય, વડા પ્રધાને તે પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરીને પોસ્ટર બનાવનાર અને વહેતું કરનાર સામે પગલાં લેવાની વાત કરી હોય, અને ચાર ઠેકાણે કોર્ટ કેસ થયા હોય—એવું કશું જાણવા મળ્યું નથી. 

કૃષ્ણ-સુદામાના વડા પ્રધાને આપેલા રૂપકમાં સુદામા કોણ હોઈ શકે, એની અટકળો ઘણાએ વહેતી મુકી. ઘણાને થયું કે તેમાં ધારવા જેવું શું છે? જવાબ સાવ ઉઘાડો નથી? બદલાયેલા સમયની માગને ધ્યાનમાં રાખતાં સુદામા કોઈ એક જ હોય, એવું પણ શા માટે ધારી લેવું? ઇલેક્ટોરલ બોન્ડના તાંદુલ આપનાર સુદામાઓ તો સેંકડોની સંખ્યામાં છે. નવા જમાનામાં સુદામા જ કૃષ્ણને ત્યાં જાય, એવું પણ જરૂરી નથી. કૃષ્ણની વર્તમાન આવૃત્તિ પોતે સુદામાના ભવ્ય મહાલય કે અંગત વિમાનમાં મુસાફરી કરીને બિચારા સુદામાનો ધક્કો બચાવી લે તો તેમાં ખોટું શું છે? 

આધુનિક સુદામાઓને પણ ખબર છે કે તાંદુલના જમાના હવે ગયા. હવે કૃષ્ણ તેમને વિસરે નહીં જાય અને સુદામાએ કામ પડે ત્યારે તેમને સંભારવા પણ ન પડે--એવું થવું જોઈએ. બાળપણના સ્નેહથી પણ અદકેરી એવી આ ગાંઠ ટકા વિના ટકાવી શકાય નહીં. આવા અંતરંગ સંબંધોમાં આશ્ચર્યનું તત્ત્વ નુકસાનકારક નીવડી શકે. આધુનિક કૃષ્ણ આધુનિક સુદામા પાસેથી હક કરીને તાંદુલ લઈ લે, પણ સુદામાને સરપ્રાઇઝ આપવા માટે, પોતે તેમને શું આપ્યું છે, તે ખાનગી રાખે તો મુશ્કેલી થાય. ‘એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા’—એવી પ્રેમાનંદ-પંક્તિ પ્રમાણે વિચારીને આધુનિક સુદામા ક્યાંક નવા કૃષ્ણ શોધી લે તો?

આ બધા કલ્પનાના પતંગ વચ્ચે, બીજો વિચાર પણ આવે છેઃ વડા પ્રધાન પ્રજાના મોટા સમુદાયને જુમલાબાજીના તાંદુલ આપીને, બદલામાં સત્તારૂપે તેનું અનેકાનેક ગણું વળતર ખાટી લે છે, એ જોતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પણ સુદામા હોઈ શકે?

Saturday, January 27, 2024

દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય

દિલીપ ગોહિલ

દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.

આ બંને અને દીપક સોલિયા--એ 'સમકાલીન'માં બનેલી ત્રિપુટી. પછી 'ઇન્ડિયા ટુડે'માં સાથે. ત્યાર પછી નોકરીમાં છૂટા પડ્યા, પણ તેમની વચ્ચેનો તાર અતૂટ રહ્યો.
દિલીપભાઈની કારકિર્દી ગુજરાતી પત્રકારત્વના અને તેમની પ્રકૃતિના ચઢાવઉતારના પ્રતિબિંબ જેવી. સૌથી વધુ પ્રતિષ્ઠિત એવા 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના કોપી એડિટર અને શીલાબહેન (ભટ્ટ)ના નેજા હેઠળ ચાલતા રિડીફ.કોમની ગુજરાતી સાઇટથી માંડીને તે વેબસાઇટ, ટીવી ચેનલો અને દિવ્ય ભાસ્કર જૂથના સુરતથી નીકળેલા ટેબ્લોઇડ 'ડીબી ગોલ્ડ' સાથે પણ સંકળાયેલા રહ્યા. 'આરપાર'માં અને 'ડીબી ગોલ્ડ'માં તેમની સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કામ કરવાનું થયું. 'આરપાર'માં તેમની સાથે થોડો સંઘર્ષ પણ રહ્યો. છતાં, લાંબા સમયની બિરાદરી અને મીઠાશ ટકી રહ્યાં. 2006માં થોડા સમય માટે 'ભાસ્કર'માં મારી પાસે કશું કામ રાખવામાં ન આવ્યું, ત્યારે 'ડીબી ગોલ્ડ'ના એડિટર તરીકે દિલીપભાઈ મારી પાસે હાસ્યની અઠવાડિક કોલમ લખાવતા હતા.
પોલિટિકલી કરેક્ટ શબ્દ વાપર્યા વિના કહેવું હોય તો કહી શકાય કે બાપુગીરી એ દિલીપભાઈનો સ્થાયી ભાવ રહ્યો. તેમને અવનવા વ્યવસાયો કેવી રીતે થઈ શકે, તે ઝીણવટથી વિચારવાનો શોખ હતો. તે 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના કોપી એડિટર હતા ત્યારે નીચે કીટલી પર હિમાંશુ કીકાણી, મનીષ મહેતા અને બીજા મિત્રો સાથે ચા પીતાં પીતાં તે ટ્રકોનો ધંધો કેવી રીતે કરી શકાય, તેની વિગતવાર વાત કરતા. તે ઝડપથી બોલતા. અવાજ પ્રમાણમાં મૃદુ હતો, પણ અભિપ્રાયો આકરા. લાગણીશીલતા અને રૂક્ષતાનું વિલક્ષણ મિશ્રણ લાગે અને બંનેમાંથી એકેય બનાવટી ન લાગે.
પછીનાં વર્ષોમાં સતત, એકધારો દોસ્તીની મધુરતાવાળો સંબંધ રહ્યો. તેમણે ઘણાં અંગ્રેજી પુસ્તકોના સરસ અનુવાદ કર્યા. અમારા 'સાર્થક પ્રકાશન' માટે 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નું ગુજરાતી કરવાનું થયું, ત્યારે પણ દિલીપભાઈ જ યાદ આવ્યા. તેમણે પુસ્તકનો મોટા ભાગનો અનુવાદ કર્યો. વચ્ચેના લાંબા ઝોલ પછી હવે એ પુસ્તકનું આખરે પ્રૂફ વાંચવાનું ચાલે છે અને થોડા મહિનામાં તે પ્રકાશિત થશે, પણ એ પહેલાં તો દિલીપભાઈ ઉપડી ગયા.
તે અમદાવાદ રહ્યા ત્યાં સુધી સાર્થકના મિલનોમાં આવતા. છેલ્લાં બે-એક વર્ષથી હું તેમને 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના તેમના અનુભવો 'સાર્થક જલસો' માટે લખવા કહેતો હતો. તે તૈયાર હતા અને એકાદ વાર તો લખવાનું શરૂ પણ કર્યું છે, એમ કહેતા હતા. છેલ્લે તેમને નોકરી માટે રાજકોટ જવાનું થયું ત્યારે એવી વાત થઈ કે ત્યાં સેટ થઈ ગયા પછી તે લખી આપશે.
પણ એ તો જતા રહ્યા. સાઠની અંદર રહેલા મિત્રો જતા રહે તે બહુ આકરું લાગે છે. નિકટતા ઓછીવત્તી હોય તો પણ આંચકો એકસરખો લાગે છે અને રહી રહીને મગજમાં હથોડા વાગે છે કે એક દિવસ આમ જ ચાલુ વાક્યે, અણધાર્યું, મોટું પૂર્ણવિરામ મુકાઈ જશે અને એ સાથે જ, ધ એન્ડ.
તે અહેસાસ મિત્રો-ચાહનારાંને પ્રેમ કરવા માટે આવતી કાલની રાહ નહીં જોવાના નિર્ણયને ફરી ફરીને દૃઢ બનાવે છે. સાથે એવું પણ થાય છે કે આટલું યાદ રાખવા માટે આટલી મોટી કિંમત ચૂકવવાની?
દિલીપભાઈ, આટલી વહેલી વિદાય આપવી ગમતી નથી, પણ તમે ક્યાં સાંભળો એમ છો?
જલસો મિલનમાં દિલીપ ગોહિલ

દીપક સોલિયા સાથે દિલીપ ગોહિલ


Tuesday, January 23, 2024

રામરાજ્યનું સપનું

વાત જાણે એમ છે કે એક દિવસ રાવણને લંકામાં રામરાજ્ય સ્થાપવાનું મન થયું. રામરાજ્ય વસ્તુ જ એવી છે કે બધાને તે સ્થાપવાનું તો નહીં, પણ સ્થાપ્યાનો જશ લેવાનું મન ચોક્કસ થાય. લોકોને થાય કે રામરાજ્ય સ્થાપવાનો જશ લેવાથી પોતે પણ રામ સમકક્ષ કહેવાશે.

મન થયા પછી રાવણને તો સપનાં આવવાં લાગ્યાં. સપનામાં તેને દેખાય લંકા અને તેનાં મંદિરો, પણ અંદર ભગવાનની મૂર્તિને બદલે તેને પોતાની મૂર્તિ દેખાય. મંદિરની બહાર દર્શનાતુર એવાં લંકાનાં પ્રજાજનોની લાંબી લાઇન પડી ગઈ હોય. એક પછી એક બધાં અંદર જાય, પણ બહાર આવે ત્યારે તેમના ચહેરા પર થોડી આઘાતની લાગણી હોય. (કેમ કે, અંદર રામને બદલે રાવણનાં દર્શન થયાં હોય) છતાં, કોની મગદૂર છે કે હરફ સરખો પણ ઉચ્ચારે? બહાર રાવણની બિનસત્તાવાર સેનાના સભ્યો ઉભેલા જ હોય. તે બહાર નીકળનારાને પૂછે પણ ખરા,બરાબર દર્શન થયાં ને?’

દર્શન તો થયાં જ હોય, પણ રાવણનાં. એટલે, દર્શનકર્તાથી સરખી હા પણ ન પડાય અને હેમખેમ ઘરે પહોંચવાનું હોય, એટલે ખોંખારીને ના પણ ન પડાય. ઘણા દર્શનાર્થીઓ એવા શાણા કે પોતે આશ્વાસન લે અને રાવણની મૂર્તિ જોઈને દુઃખી થયેલા લોકોને પોરસ ચઢાવે,એમ કહો ને કે મંદિરમાં રાવણની જ મૂર્તિ હતી. વાલીની કે સુગ્રીવ કે જાંબુવંતની મૂર્તિ હોત તો શું થાત? લંકાપતિ તેમનાં દર્શન કરવા બદલ તમને જેલમાં નાખત અને લંકા(પતિ)ના ન્યાયાધીશો તમારો કેસ ચલાવત જ નહીં.

જોકે, રાવણને સપનામાં આ બધું એડિટ થઈને દેખાયું. તેને ખાતરી થઈ કે લંકામાં રામરાજ્યનું સ્થાપન હાથવેંતમાં છે અને રામના નવા અવતાર તરીકે તેનું નામ ગણાતું થઈ જશે. પરંતુ લંકાની ન્યૂસ(ન્સ) ચેનલોવાળા રાવણને સમજાવવા લાગ્યા કે સાહેબ, રામરાજ્ય લાવવાનું કામ અધૂરું રહ્યું હોય કે શરૂ પણ ન થયું હોય તો ભલે, પણ રામ તરીકે સ્થાપિત થવાના પ્રયત્નો કાચા કે અધૂરા ન રખાય.

તેમની સલાહથી પ્રેરિત અને ઉત્સાહિત થયેલા રાવણને વળી કેટલાંક સપનાં આવ્યાઃ એકમાં તે શ્રી રામના સૈન્યે લંકા સુધી પહોંચવા માટે બાંધેલા પુલ પર તે એકલો એકલો સ્લો મોશનમાં ચાલી રહ્યો હતો અને હાથ હલાવીને દરિયાનાં મોજાંનું અભિવાદન ઝીલી રહ્યો હતો. બીજા સપનામાં તે (અ)ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેની તપસ્યામાં કમી રહી જાય એટલા માટે કેટલાક વિરોધીઓ લંકાની વાસ્તવિક પરિસ્થિતિનાં અને ગરીબ જનતાની સ્થિતિનાં આંકડાસ્ત્રો છોડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે રાવણ રામ સમકક્ષ બની જશે તો પછી લંકા રામભરોસે થઈ જશે. પણ તે રાવણને કશું નુકસાન પહોંચાડી શકતા ન હતા. કારણ કે આજુબાજુ તેની વાનરસેના ઢાલ બનીને ઊભી હતી.

હા, રાવણની પોતીકી વાનરસેના હતી, જે જન્મે નહીં, પણ કર્મે એ ઓળખ પામેલી હતી. લંકામાં રામરાજ્ય સ્થાપવા માટે વાનરસેના જરૂરી છે, એવો રાવણનો અને તેના ભાઈ કુંભકર્ણનો દૃઢ મત હતો. કુંભકર્ણની ભારપૂર્વકની સલાહ હતી કે રામરાજ્ય સ્થપાતાં પહેલાં વાનરરાજ સ્થપાવું જોઈએ. એવું થઈ જાય, તો પછી રામરાજ ક્યારથી શરૂ થશે તેની મુદતો પાડતા રહેવાનું. રાવણને એ દલીલ ગળે ઉતરી હતી ને તેની વાનરસેના લોકોને સમજાવવા લાગી હતી કે વાનરરાજ એ રામરાજ્યનું જ એક અંગ છે.

રાવણ જે કહે તે સાચું માની લેનારા લંકામાં ઘણા હતા. રાવણે તેમને ઠસાવી દીધું હતું કે તેનું રાજ આવ્યું તે પહેલાં લંકામાં ડાયનોસોર ફરતાં હતાં. તેમાંથી માંસાહારી ડાયનોસોરોનો નાશ કરીને, શાકાહારી ડાયનોસોરોને બળદની જગ્યાએ જોતરીને ખેતી કરીને તેણે લંકાને સોનાની બનાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે ડાયનોસોર અને માણસ આ પૃથ્વી પર કદી સાથે રહ્યાં નથી, એવું જૂઠાણું લંકાવિરોધીઓનું કાવતરું હતું, જે અત્યાર સુધી ચાલી ગયું, પમ હવે રાવણના રામરાજ્યમાં તેમની ખેર નથી.

રાવણરાજ્યને રામરાજ્ય તરીકે સ્વીકારવાની અને તેનો જયજયકાર કરવાની ના પાડતા લોકોને ખાતરી હતી કે રામરાજ્યની તો ખાલી વાતો હતી. અસલમાં રાવણે એવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી કે તે ફક્ત પોતાનાં સપનાંની મોટી મોટી વાતો કરે અને ફુલફટાક થઈને પુષ્પક વિમાનમાં ફર્યા કરે. ટીકાકારોને જવાબ આપવા માટે આખી વાનરસેના દિવસરાત તૈયાર રહેતી હતી. ટીકાકારો કહે કે રામરાજ્યમાં તો મર્યાદાનો મહિમા હતો. રામ મર્યાદાપુરુષોત્તમ હતા, તો રાવણની વાનરસેના કહેતી, રાવણ પણ મર્યાદાપુરુષોત્તમ જ છે. તેમણે પોતાના સિવાય બીજા બધા પર કેટલી બધી મર્યાદાઓ નાખી છે? થાય છે કોઈ આઘાપાછા?’

ટીકાકારો કહે કે રામ પ્રજાવત્સલ રાજા હતા. ધોબીની ટીકા પણ ગંભીરતાથી સાંભળતા હતા, જ્યારે રાવણ તો સવાલોના જવાબ આપતો જ નથી. ત્યારે રાવણની વાનરસેના કહેતી, રામાયણના સેંકડો પાઠ છે. તેમાં ક્યાંય તમે એવું વાંચ્યું કે શ્રી રામે પ્રશ્નો પૂછનારાને એક જગ્યાએ ભેગા કરીને, તેમના પ્રશ્નો સાંભળ્યા અને વારાફરતી તેમના જવાબ આપ્યા? રામરાજ્યમાં એવું કશું થયું નથી. એનો અર્થ એ કે એવું કશું ન થાય, તે રામરાજ્ય હોવાની જ સાબિતી છે.

ગમે તે હોય, પણ રાવણને રામરાજ્ય સ્થાપવાની બહુ ઉતાવળ હતી. એટલે, એક દિવસ સપનામાં તેણે લંકાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું.

--અને તેની આંખ ખુલી ગઈ.

સપનાંનું આ સુખ હોય છે. આંખ કદીક ખુલે તો ખરી.

Wednesday, January 17, 2024

રાષ્ટ્રીય (પ)તંગ મહોત્સવ

 ઉત્તરાયણ નિમિત્તે, અને ખરેખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગે, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે-થતું રહે છે. પતંગ, દોરી અને આકાશને સાંકળતી ફિલસૂફી પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઠલવાય છે. ઉત્તરાયણના દિવસે ઠેર ઠેર વેચાતા તૈયાર ઊંધિયામાંથી તેલના નીકળે, એવા રેલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બંનેના ભાવક વર્ગને થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તેલ (ને છાપામાં ચિંતન) હોય ને તે અમુક હદ સુધી ભાવે પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં?

સરકાર-રીતિની જેમ ઉત્તરાયણ પણ કેટલાક માટે ખાવાનો, કેટલાક માટે બેફામ ઢીલ મુકવાનો અને કેટલાકને મન કશું સમજ્યાવિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્થરબાજી કરવાનો તહેવાર હોય છે. ઉત્તરાયણ કહેવાય પતંગનો ઉત્સવ, પણ આગળ ઉલ્લેખેલી ક્રિયાઓ અને તેના કરનારાઓને માટે પતંગ તો કેવળ નિમિત્ત.

પહેલાં એક અગાસી, એક પતંગની સ્થિતિ શક્ય ન હતી. એક જગ્યાએથી બે-ત્રણ પતંગ ચગતા હોય તે બહુ સામાન્ય દૃશ્ય હતું. તેમાં થોડી અરાજકતા થતી, ક્યારેક અંદરોઅંદર પેચ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, વિવિધતામાં અરાજકતાની સાથોસાથ વિવિધતામાં એકતા પણ જળવાઈ રહેતી હતી. વર્તમાન સમય એક દેશ, એક અગાસી, એક પતંગનો છે. બીજા પતંગોને ઊંચા થવા દેવાતા નથી અને થાય તો તેમને હાથોહાથમાંથી કાપી નાખવામાં આવે છે. અને તે પણ, ચગેલા પતંગ દ્વારા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વારા અને એકમેવ પતંગબાજના ઝંડાધારીઓ દ્વારા.

સંયુક્ત અગાસીનો અનુભવ ધરાવતા લોકોને યાદ હશે કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું તેની તરફેણમાં એવી ગગનભેદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. તે નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અને સોશિયલ મિડીયા પરના પ્રચારનું રૂપ લીધું છે. આખા દેશમાં પતંગ ચગાવનાર એક જ છે અને બીજા કોઈને તો તે આવડતું જ નથી, એવો ઘોંઘાટ સતત ચાલુ છે. તેનાથી આગળ વધીને એવો માહોલ જમાવવામાં આવ્યો છે કે અગાઉ કોઈએ પતંગ ચડાવ્યા જ ન હતા ને પેચ લડાવ્યા જ ન હતા. આ દેશનું નસીબ છે કે પહેલી વાર તેને કોઈ એવો માણસ મળ્યો, જેને પતંગ ચગાવતાં આવડતું હોય. હવે જોજો, દેશ કેવો વિશ્વગુરુ બની જશે. 

અગાસીના માહોલ વિશે જાણનારાને ખ્યાલ હશે કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગેરે વહેંચાતું રહે છે. તેનાથી બૂમો પાડવાનો ઉત્સાહ ટકી રહે છે. કેટલાકને એ નથી મળતું. છતાં, તે બૂમો પાડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમને બીક છે કે તે ટોળામાં સામેલ નહીં થાય, તો હવે પછીની ઉત્તરાયણ તેમને જેલમાં કરવી પડશે.

એકના એક વીર પતંગવાળાનો જયજયકાર કરતા રહેવા માટે, તેનો પતંગ બહુ સરસ ચગતો હોય કે તે વારેઘડીએ પેચ લડાવીને વિજેતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે તેનો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અને સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગેલા પતંગના ધણીને આકાશવિજેતા જાહેર કરીએ તો ખરા.

એટલે પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશને ખબર પાડી દેવાનો તેનો માસ્ટર સ્ટ્રોક, નીચે જુએ તો વિરોધીઓને ભોયંભેગા કરવાના ઇરાદાનો માસ્ટર સ્ટ્રોક, ગોગલ્સ પહેરે તો માસ્ટર સ્ટ્રોક, શાલ ઓઢે તો માસ્ટર સ્ટ્રોક. તે પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય, એટલે ટોળાએ આકાશમાં સૌથી ઊંચે દેખાતો પતંગ તેમના પતંગબાજનો હશે, એવું જાહેર કરી દેવાનું. કોઈ પુરાવા માગે તો કહેવાનું કે જા, ઉપર જઈને પતંગને પૂછી આવ. કોઈ પૂછે કે તમારા પતંગબાજના હાથમાં દોરી તો દેખાતી નથી. તો કહેવાનું, એ સ્ટ્રીંગલેસ પતંગની લેટેસ્ટ આધ્યાત્મિક ટેકનોલોજી છે. જે લોકોને તેમાં શ્રદ્ધા હોય તેમને જ દોરી દેખાય—લાલ ચશ્મા પહેરવાથી અદશ્ય મિસ્ટર ઇન્ડિયાને જોઈ શકાતો હતો તેમ.

વચ્ચે વચ્ચે એવી જાહેરાત પણ કરી દેવાની કે હમણાં જ સમાચાર આવ્યા છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દેખાય છે. કેટલાક લોકો એવા પણ હશે, જે કહેશે, અમે ક્યારના જયજયકાર કરીએ છીએ, પણ દોરી દેખાતી નથી. પછી હળવેકથી કહેશે, પણ શું થાય? દેશની પ્રતિષ્ઠા વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?. તેમ છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, તેની પર રાષ્ટ્રગૌરવ અને વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકીને, તેને અંદર કરી દેવાનો.

પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જયજયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અને જાણીતો બીજો રસ્તો છેઃ દૂર કે નજીક, કોઈ ને કોઈ દુશ્મન ધાબું શોધી કાઢવું અને એ દિશામાં પથ્થરમારો શરૂ કરાવી દેવો. તેની સાથે વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યો, ગિનેસ બુકમાં તેનું નામ આવ્યું, તેને અમેરિકાનો ફ્રિ-લીપ બટલર એવોર્ડ મળ્યો, પતંગની ટેકનોલોજી સૌથી પહેલાં આપણા દેશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહેતી રાખવાની.

ખોટું તો ખોટું, પણ ગૌરવ અને ઝનૂન સંતોષાઈ જાય, પછી પતંગ ચગે કે ન ચગે, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે?

Monday, January 08, 2024

માથું ખંજવાળવા વિશે

મથાળું વાંચીને કેટલાક વાચકો માથું ખંજવાળે તો નવાઈ નહીં. કારણ કે, માથાના ખોડા ઉપરાંત આશ્ચર્ય, આઘાત, ગુંચવણ, સવાલ, વિચાર જેવાં ઘણાં કારણસર માણસ માથું ખંજવાળી શકે છે. વિચારકો ગાલ પર આંગળીઓ રાખીને પડાવેલા ફોટા મુકે છે, તેને બદલે તેમના લખાણ સાથે (પોતાનું) માથું ખંજવાળતા ફોટા મુકતા હોત તો વિચારક તરીકેની તેમનો વધારે પ્રભાવ પડત.

ચિબુક પર હાથ મુકીને વિચારતા માણસનું શિલ્પ જગવિખ્યાત છે, પણ માથું ખંજવાળતા માણસનું શિલ્પ બનાવ્યું હોત તો તે વધારે અર્થઘન બની રહેત. અથવા લિઓનાર્દો દ વિન્ચીએ સ્મિત કરતી મોનાલિસાને બદલે એવા જ સ્મિત સાથે માથું ખંજવાળતી મોનાલિસાનું ચિત્ર બનાવ્યું હોત, તો ચિત્રના રહસ્યમાં અનેક ગણો વધારો થઈ ગયો ન હોત? ‘મોનાલિસાના માથામાં જુઓ પડી છે, એટલે તે માથું ખંજવાળે છે‘ એવા શુષ્ક અર્થઘટનથી લઈને ‘મોનાલિસા પોતે કેમ સ્મિત કરી રહી છે એ વિચારે, સ્વયંલીલાથી જ રહસ્યાંદોલિત થઈને, ચિત્તના ગૂઢ વ્યાપારોમાં નિમગ્ન બનીને માથું ખંજવાળી રહી છે’—એવા વિવેચનને પણ અવકાશ રહેત.
એટીકેટ એટલે કે રીતભાતના ચુસ્ત નિયમો પ્રમાણે માથું ખંજવાળવું એ અસભ્ય ક્રિયા ગણાય છે. કોઈની હાજરીમાં, કોઈની સામે માથું ખંજવાળવાથી જોનાર ખંજવાળનારના માથા વિશે જ નહીં, તેની અંદર રહેલા પદાર્થ વિશે પણ શંકાકુશંકાઓ કરી શકે છે. ખરી કમાલ તો ત્યારે થાય, જ્યારે સામેવાળાએ માથું કેમ ખંજવાળ્યું, એ વિચારતાં વિચારતાં ખુદ જોનાર પોતે જ પોતાનું માથું ખંજવાળવા બેસી જાય. કેમ કે, માથાના ખોડા કે જુ સિવાયનાં કારણે માથું ખંજવાળવું એ મહદ્ અંશે અનૈચ્છિક અને લગભગ રીફ્લેક્સ એક્શનની જેમ થતી પ્રતિક્રિયા છે. કંઈક સમજવામાં ગુંચ પડી નથી ને માથામાં હાથ ગયો નથી. એ ચેષ્ટા એવી છે કે ભ્રષ્ટાચારની જેમ તેનું આચરણ લગભગ દરેક જણ દ્વારા થાય છે. છતાં દરેક જણ ઇચ્છે છે કે બીજાએ તે ન કરવું જોઈએ. પોતાના માટે જે જરૂરિયાત કે મજબૂરી લાગતી હોય, તે બીજા કરે ત્યારે અનિષ્ટ લાગે, તે માનવપ્રકૃતિની કમાલ છે.
સમાજમાં ગૌરવઘેન વ્યાપે ત્યારે શરમ અને ગૌરવ, અસલામતી અને દાદાગીરી—એવી બે વિરોધાભાસી લાગણીઓ સમાંતરે ચાલે છે. મોટા ભાગના લોકોને અત્યાર સુધીમાં તેનો અનુભવ થઈ ચૂક્યો હશે. એ જ તરાહ પર, માથું ખંજવાળવાને કારણે ટીકાને પાત્ર બનેલા લોકો નવા મેળવેલા ગૌરવભાન પછી કહી શકે છે, ‘અમારું માથું. અમારો હાથ, અમારો દેશ અને અમે ખંજવાળીએ, તેમાં તમારે શા માટે મોં મચકોડવું જોઈએ? માથું છે તો ખંજવાળીએ પણ ખરા. જેમને જાહેરમાં માથું ખંજવાળનારા ન ગમતા હોય તેમણે દેશ છોડીને જતા રહેવું જોઈએ.’
શરીરશાસ્ત્ર પ્રમાણે માથું અને કરોડરજ્જુ સંકળાયેલાં હોય છે, પરંતુ જાહેર જીવનમાં એવું બનવું અનિવાર્ય નથી. એટલે ઘણા માથાવાળા લોકો તેમના માથાની અંદર રહેલો ‘ખોડો’ જાહેરમાં (લેખો કે ભાષણો દ્વારા) ઉડાડે ત્યારે સમજુ જણ વિચારે છે કે આ માથું હોવાની નહીં, કરોડરજ્જુ નહીં હોવાની નિશાની વધારે લાગે છે.
સભ્યતા તો જાહેરમાં માથું ખંજવાળવાની જ ના પાડે છે. છતાં, જાહેરમાં માથું ખંજવાળના કેટલાક પ્રકારોમાં પહેલો પ્રકાર સભ્યતાપૂર્વક ખંજવાળવાનો છે. તેમાં માણસ પોતાનો હાથ માથા નજીક લઈ જાય છે અને હથેળી માથા પર પસવારતો હોય એવો અભિનય કરતાં, જોનારની નજર ચુકાવીને હળવેકથી ખંજવાળી લે છે. તેનાથી સામેવાળાના મનમાં ભ્રમ પેદા થાય છે. દરમિયાન, સલુકાઈથી માથું ખંજવાળી લેનારે હાથ સામાન્ય સ્થિતિમાં લાવી દીધો હોય છે.
બીજા પ્રકારમાં માણસ વિચારવા માટે ખંજવાળતો નથી, પણ ખંજવાળવા માટે વિચારવાનો અભિનય કરે છે. પોતે જાણે ઊંડા વિચારમાં સરી પડ્યો હોય અને વિચારવાની ક્રિયાના વિસ્તાર તરીકે-તેના ભાગરૂપે ખંજવાળતો હોય તેમ તેનો હાથ માથામાં લઈ જાય છે અને બિનધાસ્ત, સભ્યતાની ઐસીતૈસી કરીને ખંજવાળે છે. પણ એ વખતે ચહેરા પર તે ખંજવાળતા નહીં, વિચારવાના ભાવ રાખે છે. તેનાથી જોનારને લાગે છે કે આમ તો આ જણ જાહેરમાં ખંજવાળે નહીં, પણ મુદ્દો જ એવો છે કે વિચાર-વિચારમાં તેમણે ખંજવાળી લીધું હશે.
ત્રીજા પ્રકારમાં કળા ઓછી ને જોશ વધારે હોય છે. તેમાં માણસ પહેલાં એકાદ લસરકાથી માથું ખંજવાળવાની શરૂઆત કરે છે. પણ જોતજોતાંમાં આંગળીઓની સંખ્યા, તેમનું આવર્તન અને તેમાં રહેલું જોશ વધતાં જાય છે. થોડી વારમાં તો એવું લાગે છે કે તેમને રોકવામાં નહીં આવે તો તે ખંજવાળીને માથાના વાળને મૂળમાંથી ઉખાડી નાખશે. તેમને ખંજવાળતા જોઈને ક્યારેક સામેવાળાને અસુખ થવા માંડે છે. સાથે એવી બીક પણ લાગે છે કે સામેવાળાને તેમના માથાથી સંતોષ નહીં થાય, તો ક્યાંક મારું માથું ખંજવાળવા ન લાગે.
ગમે તેવી એટીકેટની વાતો છતાં, માથું ખંજવાળવું તંદુરસ્ત લોકશાહી માટે ઉપકારક છે તેમાં બેમત નથી. સત્તાધીશોની નીતિરીતિઓ સામે માથું નમાવી દેવાને બદલે તેના વિશે મૂંઝવણ અનુભવવી, માથું ખંજવાળવું અને સવાલ પૂછવા એ ચડિયાતો અને યોગ્ય વિકલ્પ છે. આ રીતે માથું ખંજવાળવું એ કરોડરજ્જુની તંદુરસ્તી માટે પણ ફાયદાકારક નીવડી શકે છે.
‘સત્તાધીશોની પીઠ ખંજવાળવાને બદલે પોતાનું માથું ખંજવાળવું એ સાચી દેશભક્તિ છે’—આવું કોઈ મહાપુરુષે કે મહામહિલાએ કહ્યું ન હોય તો એ કહેવાનો સમય પાકી ગયો નથી?

Wednesday, January 03, 2024

શિક્ષણક્ષેત્રે કુરુક્ષેત્રે

 ગુજરાતની શાળાઓમાં છથી આઠ ધોરણનાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, એ સમાચાર વાંચીને મનમાં કેટલાંક દૃશ્યો આવી ગયાં.

સરકાર બતાવવા માગે છે તે દૃશ્યઃ

એક શાળા છે. તેના ઓરડામાં વડા પ્રધાનની શાળા-મુલાકાત વખતે ફોટોશોપ કરીને લગાડેલી એવી નહીં, પણ અસલી બારી છે. તેમાંથી તડકો વર્ગખંડમાં પ્રસર્યો છે. વર્ગખંડમાં બાળકો યુનિફોર્મ પહેરીને લાઇનસર બેઠાં છે અને એકાગ્રતાથી ગીતાના શ્લોકોનું પઠન કરી રહ્યાં છે. એક શ્લોક પૂરો થાય, એટલે શિક્ષક શ્લોકનો એકેએક શબ્દ છૂટો પાડીને તેનો અર્થ સમજાવે છે. તે સાંભળીને બાળકના ચિત્તમાં જ્ઞાનપ્રાપ્તિનો રોમાંચ વ્યાપી જાય છે, જે તેના ચહેરા પર ઝગમગી ઉઠે છે.

--પણ આપણે જાણીએ છીએ કે સરકાર આવી રીતે જ વિદેશમાં ખડકાયેલું કાળું નાણું પાછું લાવીને, ઇલેક્ટોરલ ફંડમાં નહીં, લોકોનાં ખાતામાં નાખવાની હતી. એટલે, આગળ જણાવેલું સપનું જોવા માટે સરકારી ચશ્મા પહેરવા અનિવાર્ય છે.

એ ચશ્મા વિશે પણ લગે હાથ થોડું કહી દેવું જોઈએ. થ્રી-ડી ચશ્મા વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે ને ઘણાએ તે ફિલ્મ જોતી વખતે પહેર્યા પણ હશે. સરકારના ચશ્મા તેનાથી પણ જૂની છતાં સદાબહાર એવી વન-ડી ટેકનોલોજી ધરાવે છે. તે પહેર્યા પછી એક જ પરિમાણ—સરકાર બતાવે તે જ—દેખાય છે.

શાળામાં બાળકોને ગીતા ભણાવવાના સમાચાર સરકારના વન-ડી ચશ્મા પહેરીને વાંચીએ તો પછી શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને નીચલા ધોરણનું ગુજરાતી વાંચવામાં પડતાં ફાંફાં, શિક્ષકોનું આર્થિક શોષણ અને તેમની સાથે સરકારી વેઠિયા જેવું વર્તન—આવું કશું જ નહીં દેખાય. એ ચશ્મા પહેરીને જોતાં દેખાશે કે આઠમું ધોરણ ભણીને પાર ઉતરેલા વિદ્યાર્થીઓ—અને આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દેતી ગ્રામ્ય વિસ્તારોની ઘણીબધી વિદ્યાર્થીનીઓ—એકબીજા સાથે ગીતાના શ્લોકો ટાંકીને જ વાતચીત કરતી હશે. ખેતરમાં મજૂરી કરતી વખતે, કારખાનાંમાં કામ કરતી વખતે કે ભણવાનું છોડીને બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં જોતરાયા પછી પણ તેમના હૃદયમાં અહર્નિશ ગીતાપાઠ ચાલતો હશે. ફળની આશા વિના કર્મ કરવાનું તે શીખે કે ન શીખે, ફળીભૂત થવાની આશા વગરનાં વચનો હોંશે હોંશે પી જવાનું તે જરૂર શીખી જશે.

સરકારી ચશ્માથી એવું પણ દેખાશે કે ગુજરાતી માધ્યમમાં ભણનારા બાળકોમાંથી હજારો બાળકો ગુજરાતી વિષયમાં ભલે નાપાસ થાય, પણ ગીતાના વિષયમાં તેમનું પરિણામ ઝળહળતું હશે અને આખું વિશ્વ એ ચમત્કાર જોઈને ભારતના વિશ્વગુરુપદ પર વધુ એક વાર મહોર મારી દેશે.

ભવિષ્યમાં ગીતાશિક્ષણ બધાં ધોરણ માટે લાગુ કરવામાં આવે ત્યારે શિક્ષણ મંત્રીની સાથોસાથ એક હોદ્દો ગીતા મંત્રીનો પણ ઊભો કરી શકાય, જેથી વિપક્ષમાંથી ખરીદી લાવેલા કોઈ નેતાને મંત્રીપદ આપવાનો વાયદો કર્યો હોય તો, વ્યવહાર મુજબ, વાસ્તવિક સત્તા આપ્યા વિના, એ વાયદો પૂરો કરી શકાય.

ઘણા શિક્ષકો જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

ગીતા અભ્યાસમાં આવતાંની સાથે સમૃદ્ધ વાલીઓના ફોન આવવા લાગ્યા હશે કે તેમના સંતાન માટે ગીતાનું ટ્યુશન બંધાવવું છે. કોઈ સારા ટીચર હોય તો બતાવજો. શહેરોમાં બધા વિષયોના ટ્યુશન ક્લાસનું જે પેકેજ નક્કી થતું હશે, તેમાં ગીતાનો સમાવેશ નહીં થાય. તેને સ્પેશિયલ સબ્જેક્ટ ગણીને તેની ફી ગણિત કે વિજ્ઞાન કરતાં દોઢી રાખી શકાશે. ફીવધારાના વિરોધીઓને હિંદુવિરોધી તરીકે ગણાવવાની સુવિધા પણ રહેશે. આઠમા ધોરણમાં ભણતાં સંતાનોને બારમા પછી આપવાની પરીક્ષાની તૈયારી કરાવતાં વાલીઓ, ગીતાની તૈયારી માટે બાળક ચોથા ધોરણમાં હશે ત્યારથી તેનું ટ્યુશન શોધવા લાગશે, જેથી છઠ્ઠામાં ગીતા આવે ત્યારે તેમનું બાળક બીજાં બાળકોની સ્પર્ધામાં પાછળ ન પડી જાય. તેના કારણે ગીતાના ટ્યુશન ક્લાસ ખરેખર તો છઠ્ઠા ધોરણથી નહીં, ચોથા ધોરણથી જ શરૂ કરી શકાશે.

ગીતાનો સબ્જેક્ટ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષકો પણ શીખવી શકશે. ગીતાના ટ્યુશનક્લાસ ભરનારાને ગીતાનો એકાદ શ્લોક લખેલું ટી શર્ટ પણ આપી શકાય. શ્લોક સંસ્કૃતની સાથોસાથ અંગ્રેજી લિપિમાં લખેલો હોવાથી શહેરનાં, અંગ્રેજી મિડીયમમાં ભણતાં બાળકો પણ તેનો લાભ લઈ શકશે—અને એવું થાય તો ટી શર્ટના જથ્થાબંધ ઓર્ડરમાંથી મળનારું કમિશન અલગ.

સરકારી જાહેરાત પછી મોડા જાગેલા કેટલાક હજુ ગીતાની ગાઇડ લખી રહ્યા હશે, પણ કેટલાક અનુભવી શિક્ષકો તો ગાઇડનું લેખન પૂરું કરવામાં હશે. કારણ કે, જાહેરાત થતાં પહેલાં તેમને આગોતરી ગાંધીનગરથી ખબર પડી ગઈ હશે.

ગીતાને બારમા ધોરણમાં ફરજિયાત કરવામાં આવે અને તેના માર્ક પણ વિદ્યાર્થીની છેવટની ટકાવારીમાં ગણાશે એવી જાહેરાત થાય, તો વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને અવગણે છે એવી રીતે ગીતાને અવગણી નહીં શકે અને કમર કસીને તેની તૈયારી કરશે. મતલબ, તેનાં પેપર ફૂટશે અને કમાણીની નવી દિશાઓ ખુલશે, જેના પગલે કહી શકાશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.

ઘણા વિદ્યાર્થીઓ જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

વિદ્યાર્થીઓ? અને તે વળી ઇચ્છે? અઢળક રૂપિયા ખર્ચીને તે શિક્ષણની ગુણવત્તા સિવાય બીજું કંઈ પણ ઇચ્છી શકે. તેમનો ધર્મ શિક્ષણના તળીયે પહોંચેલા સ્તર વિશે વિચારવાનો તો બિલકુલ નથી. તેમણે આગળ આપેલાં બે દૃશ્યોમાં જ્યાં ગોઠવાઈ શકાય ત્યાં ગોઠવાઈ જવાનું. એની તેમને સંપૂર્ણ છૂટ હશે. ગીતા-પરંપરા પ્રમાણે તેમને કહી પણ શકાશેઃ યથેચ્છસિ તથા કુરુ. તમને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરો.